જૂનાગઢના ગિરનાર પર્વતની પાવન તળેટીમાં સ્થિત ભવનાથ ધામ ખાતે મહાશિવરાત્રિના અવસરે પરંપરાગત પાંચ દિવસીય ભવનાથ મેળાનો આજે ધાર્મિક વિધિઓ સાથે ભવ્ય પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ “બમ બમ ભોલે” અને “હર હર મહાદેવ”ના જયકારોથી સમગ્ર વિસ્તાર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો હતો.
મેળાના પ્રારંભે ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ અને વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા સાધુ-સંતો, નાગા બાવાઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ ધામ ખાતે પહોંચ્યા હતા. ભક્તોએ ગિરનારની તળેટીમાં ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મેળા દરમ્યાન શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવા, પીવાનું પાણી, સફાઈ અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી ચાલનારો ભવનાથ મેળો ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિક પરંપરાનો જીવંત ઉત્સવ બનશે.
