HomeLocal Newsમનપા દ્વારા ત્રિકોણબાગ સિગ્નલ પર ઠંડી હવા માટે પાણીના ફુવારા મુકાયા

મનપા દ્વારા ત્રિકોણબાગ સિગ્નલ પર ઠંડી હવા માટે પાણીના ફુવારા મુકાયા

રાજકોટમાં ગરમીનો પારો ખુબ જ વધી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો સતત 42 ડિગ્રીની આસપાસ કે તેથી વધુ રહ્યો છે. આકરી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મનપા દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને ટાઢક આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ત્રિકોણબાગ ચોકમાં વાહનચાલકો અને બસની રાહ જોતા મુસાફરો ઉભા રહે છે ત્યાં ઉપર 50/60ની સાઈઝનું વિશાળ ગ્રીનકવર કરાયું છે. એટલું જ નહીં ઠંડી હવા માટે પાણીના ફુવારા પણ ત્યાં મુકવામાં આવ્યા છે. મનપાનાં સિટી ઈજનેરે જણાવ્યું કે, લોકોને ગરમીથી રાહત મળે તે માટે ખાસ આ પ્રયોગ કરવામાં આવ્યો છે. હાલ 50/60નું કાપડ ત્રિકોણબાગ ચોકમાં બાંધવામાં આવ્યું છે. તેમજ છાયો રોડમાં વધુમાં વધુ વિસ્તારમાં પડે તેવી વ્યવસ્થા પણ આગળના દિવસોમાં કરવામાં આવશે. આ ઉપરાંત 40 જેટલા ઝીણા ફુવારા (સ્પ્રિંકલર) પણ અહીં મૂકવામાં આવનાર છે. જેથી લોકોને કાળઝાળ ગરમીમાં મોટી રાહત મળશે. અત્યારે માત્ર ત્રિકોણબાગ ચોકમાં આ પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાં સફળતા મળે તો અન્ય સ્થળે પણ આવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, સિગ્નલ વખતે ખુલ્લા તડકામાં વાહન લઈને ઉભેલા નાગરિકોના સ્વાસ્થ્ય અને જોખમ રહેલું હોવાથી તંત્ર દ્વારા બપોરે 1:00 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સિગ્નલો કાર્યરત રખાતા નથી. રાજકોટમાં સૌથી વધુ ગરમી ત્રિકોણબાગ વિસ્તારમાં નોંધાય છે, જે અંતર્ગત રાજકોટ મહાપાલિકા દ્વારા સિટી બસ સ્ટેશન પાસે આવેલ ત્રિકોણબાગ સિગ્નલ ખાતે આ ખાસ પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં રોડ પર લીલા કલરનું કાપડ બાંધીને કૃત્રિમ છાંયો કરાયો છે. જેથી સિગ્નલ બંધ થાય ત્યારે આ છાયા નીચે વાહન ચાલકોને રાહત રહે. ઉપરાંત અહીં ઝીણા ફુવારા (સ્પ્રિંકલર) પણ મુકાયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments