દેશભરમાં કાળઝાળ ગરમીની સાથે નૈઋત્યનું ચોમાસુ પણ આગળ વધી રહ્યું છે. દિલ્હીથી લઈ ગુજરાત સુધી 43 થી 45 ડીગ્રી ગરમી અને ઉતરપ્રદેશમાં ઉષ્ણતામાનનો પારો 47 ડીગ્રી સુધી પહોંચી રહ્યો છે અને હજુ હીટવેવની સ્થિતિ લંબાશે તેવા સંકેત છે.
તે વચ્ચે નૈઋત્યનું ચોમાસુ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જાહેર કર્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આંદામાન અને નિકોબાર દ્વીપસમુહમાં પહોંચી ગયું છે અને બંગાળની ખાડી તથા અરબી સમુદ્રમાં કેટલાક વિસ્તારોને પણ આવરી લીધુ છે.
ચોમાસુ તેની સામાન્ય કરતા વધુ ઝડપી ગતિથી આગળ વધે છે અને જો આ ગતિ જળવાઈ રહે તો કેરળમાં તા.26 મે ના રોજ ચોમાસુ આવશે તે નિશ્ચિત છે. કેરળમાં દાખલ થયા બાદ ચોમાસુ ઉતર તરફ આગળ વધીને દેશના અન્ય ભાગોમાં પહોંચે છે.
ગત વર્ષે 24 મે ના રોજ ચોમાસુ આવી ગયુ હતું. આ વર્ષે 26 મે ના રોજ પહોંચશે તેવી ગણતરી છે. કેરળમાં 25થી27 મે વચ્ચે ચોમાસુ પહોંચ્યા પછી તે 15 જૂન સુધીમાં બિહાર પહોંચી જશે જયારે 22 જૂન સુધીમાં ઉતરપ્રદેશ અને તેની સાથે 20 જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને 20થી25 જૂન વચ્ચે ગુજરાત અને દિલ્હીમાં 25થી30 જૂન વચ્ચે પહોંચશે.
ચોમાસુ રાજસ્થાનમાં 30થી5 જુલાઈ વચ્ચે પહોંચશે. જો કે તે દરમ્યાન પણ હજુ આગામી સાત દિવસ સુધી દિલ્હીમાં હીટવેવ અને તાપમાન 47 ડીગ્રી સુધી પહોંચી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઓડીસા, પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ તથા તટીય આંધ્રપ્રદેશથી સાત દિવસ સુધી હીટવેવ યથાવત રહેશે.

