રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા દબાણોના મુદ્દે તંત્ર દ્વારા હિયરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે કુલ ૧,૩૫૦ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે, જેમાંથી આજે પ્રથમ તબક્કામાં ૫૯૦ લોકોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા.
દબાણકર્તાઓએ હિયરિંગ દરમિયાન સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ જંત્રી મુજબ મકાન અને દુકાન ખરીદવા માટે તૈયાર છે. સાથે જ પોતાનો હક સાબિત કરવા માટે લાઈટ બિલ, વેરા બિલ સહિતના જરૂરી દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા.
દબાણકર્તાઓનું કહેવું છે કે જો તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી ૧૦ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા માટે દિલ્હી સુધી અવાજ ઉઠાવશે. આ અંગે તેમણે ખુલ્લેઆમ હુંકાર ભર્યો છે.
જંગલેશ્વર વિસ્તારના દબાણ મુદ્દે શરૂ થયેલી આ હિયરિંગ પ્રક્રિયા પર સમગ્ર શહેરની નજર ટકી છે, ત્યારે તંત્ર દ્વારા આગળ શું નિર્ણય લેવામાં આવે છે તે મહત્વનું બન્યું છે.
