રાજકોટ
કેન્સરના ઇલાજ દરમિયાન ડોક્ટરની કથિત ભૂલથી એક ગરીબ પરિવારના જીવનમાં અંધકાર છવાઈ ગયો હોવાનો મામલો સામે આવ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે એક વર્ષ પહેલા રાજકોટની શિવ હોસ્પિટલ ખાતે ડો. કામિલ દ્વારા પિતાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે ચાર લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, પરંતુ સારવાર બાદ તબિયત સુધરવાની જગ્યાએ વધુ બગડતી ગઈ.
પરિવારનું કહેવું છે કે ઓપરેશન પછી વારંવાર ડોક્ટરને મળવા છતાં “બધી રીતે સારું થઈ જશે” તેવી માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા. સમય પસાર થવા સાથે દર્દીની હાલત ગંભીર બનતી ગઈ, જેથી પરિવાર માનસિક રીતે તૂટી પડ્યો. આર્થિક સંકટ એટલું વધ્યું કે ઘર ચલાવવા માટે માતાને ચોકીદાર તરીકે કામ કરવું પડ્યું.
આ પરિસ્થિતિનો સૌથી મોટો ભોગ ધોરણ-૯માં અભ્યાસ કરતી દીકરી બની છે. પિતાની સારવાર અને ઘરની જવાબદારીને કારણે તેને ભણતર વચ્ચે મૂકવાની ફરજ પડી. પોતાની વેદના વ્યક્ત કરવા દીકરીએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે ડોક્ટર અને હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
દીકરીએ વીડિયોમાં જણાવ્યું છે કે મનપામાં ફરિયાદ કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કે નિરાકરણ આવ્યું નથી. હવે પરિવાર દ્વારા રાજ્ય અને દેશના ઉચ્ચ સ્તરે ન્યાય માટે અપીલ કરવામાં આવી છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
