ભાવનગરથી મનાલી ફરવા ગયેલા સિંધી સમાજના 9 લોકો સાથે કાર હિમાચલ પ્રદેશના ચંબા-નૂરપુરના નેશનલ હાઈવે પરની ખાઈમાં ખાબકી હતી. જેમાં હિમાચલના એક ડ્રાઈવર અને ગુજરાતના 5 લોકોનાં મોત થયા છે. જ્યારે પોલીસે 4 લોકોને ખાઈમાંથી સલામત રીતે બહાર કાઢીને ચંબા જિલ્લાના ટાંડાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. એક જ પરિવારના દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત થયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે વહેલી સવારે 3.30થી 4 વાગ્યા દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારમાં ગુજરાતી પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ પ્રવાસે નીકળ્યો હતો, ત્યારે ચંબા નજીકના હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી. વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે મૃતદેહોને ખાઈમાંથી બહાર કાઢીને તેને ચંબાના ચુવારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે મૃતકો અને ઘાયલોના પરિવારજનોને પણ જાણ કરી છે. પીએમ બાદ મૃતદેહોને પરિવારને સોંપવામાં આવશે.
મનાલી ખાતે અંતિમ સંસ્કાર કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે. મૃતકોની અંતિમવિધિ પણ ચંબાના ચવાડી ભાટિયાદ ખાતે જ કરવામાં આવશે.
પોલીસે 6 મૃતદેહને ખાઈમાંથી બહાર કાઢ્યા હતાં. પ્રવાસીઓનો સામાન ખાઈમાંથી કાઢીને ઉપર લાવવામાં આવ્યો હતો. પ્રવાસીઓના મૃતદેહ સફેદ કપડામાં લપેટાયેલા.
પોલીસે 6 મૃતદેહને ખાઈમાંથી બહાર કાઢ્યા હતાં. પ્રવાસીઓનો સામાન ખાઈમાંથી કાઢીને ઉપર લાવવામાં આવ્યો હતો. પ્રવાસીઓના મૃતદેહ સફેદ કપડામાં લપેટાયેલા.
ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4ને માથામાં ઈજા થઈ હતી. છઠ્ઠા મૃતકની ઓળખ જસવંત કુમાર (51) તરીકે થઈ હતી, જે મંડી જિલ્લાના જોગીન્દરનગર તહસીલના કોહરા ગામના રહેવાસી હતા. તે પ્રવાસીઓને લઈ જતી કારના ડ્રાઈવર હતા.
તેને વધુમા કહ્યું કે, પોલીસે ખાઈમાંથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વરસાદને કારણે માટી લપસણી થઈ શકે તેથી, એવી શક્યતા છે કે ભારે વરસાદ દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગયાનું અનુમાન છે.
મનાલી નજીક થયેલા કરુણ અકસ્માતમાં ભાવનગર શહેરના સિંધી સમાજના પાંચ લોકોના દુ:ખદ અવસાન બાદ સમગ્ર સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર લલિતભાઈ ફતનાનીના નિવાસસ્થાને આજે સિંધી સમાજના આગેવાનો, સમાજના અગ્રણી લોકો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકોએ પહોંચીને પરિવારને સાંત્વના પાઠવી હતી. આ દુર્ઘટનાને લઈને ભાવનગરમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. સમાજના આગેવાનોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. સાથે જ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરવામાં આવી છે.
ભાવનગર સિંધી જનરલ પંચાયતના મહામંત્રી ભરતકુમાર વરછરામ વાધવાણીએ જણાવ્યું હતું કે, અમારા સિંધી સમાજના એક પરિવારના 9 લોકો તા.4મે ના રોજ મનાલી પ્રવાસ કરવા માટે ગયા હતા. ગઈકાલે(10મે) રાત્રે 2.30 વાગ્યે મનાલી પાસે તેમનો અકસ્માત સર્જાયો છે. એમાં પાંચના દુ:ખદ મોત છે અને 4 લોકો હાલ મનાલી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વાધવાણીએ વધુમાં જણાવ્યું કે, હાલ ભાવનગરથી 4 લોકો મનાલી જવા નીકળ્યા છે, ત્યાં આજે અમદાવાદથી 11:30 વાગ્યાની ફ્લાઇટ હતી. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સાથે સતત સંપર્કમાં રહીને તેમના દ્વારા ત્યાંની જે કઈ ઘટતી વ્યવસ્થા છે તે ત્યાં પૂર્ણ કરવા માટે અહીંથી ગયા છે. તેઓ સતત અમારા પ્રમુખ અને સમાજ સાથે સંકલનમાં છે. નીમુબેને ખાતરી આપી છે કે અમારા તરફથી કોઈ પણ વ્યવસ્થાની જરૂર હોય તો તમે સતત અમારા સંપર્કમાં રહેજો અને તેમના પી.એ. દ્વારા અમને 4 નંબર પણ આપ્યા છે કે કોઈ પણ જરૂર હોય તો અમે પૂરી કરીશું. સાથે હિમાચલ પ્રદેશનું પ્રશાસન નીમુબેન બાંભણિયાના સંપર્કમાં રહીને અમને પોઝિટિવ રીતે ખૂબ સારી રીતે સંપર્કમાં છે અને ખૂબ જ કો-ઓપરેટ કરે છે. ત્યાંના સમાજસેવકો અને તંત્રના મુખ્ય અધિકારીઓના સતત ફોન પણ શરૂ છે અને તેઓ અમને પૂર્ણ સહયોગ આપી રહ્યા છે.

