એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ છે. અદાણીનું સામ્રાજય ખાદ્યતેલથી લઈને બંદરો સુધી ફેલાયેલું છે, પરંતુ શું તમે જાણો છો કે તેમને કેટલો પગાર મળે છે? તો અમે તમને જણાવી દઈએ કે તેમને FY24માં મળેલો પગાર અન્ય બિઝનેસ ગ્રૂપના ચેરમેનોની સરખામણીમાં તો ઘણો ઓછો છે જ, પણ અદાણી ગ્રુપમાં જ કામ કરતા અધિકારીઓ કરતાં પણ ઘણો ઓછો છે.
જો આપણે ૬૧ વર્ષીય ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીના પગાર વિશે વાત કરીએ તો તેમને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૯.૨૬ કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. અદાણી ગ્રુપના ખાદ્યતેલથી લઈને ગ્રીન એનર્જી અને પોર્ટથી પાવર સુધીના બિઝનેસ સાથે સંકળાયેલી ગૌતમ અદાણીની ૧૦ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. જોકે, આ દસમાંથી માત્ર બે કંપનીમાંથી તેમને પગાર મળ્યો છે.
અદાણી ગ્રૂપે શેરબજારમાં લિસ્ટેડ તેમની ૧૦ કંપનીઓના વાર્ષિક અહેવાલમાં આ માહિતી શેર કરી છે. તેમાં શેર કરાયેલા ડેટા અનુસાર, ગૌતમ અદાણીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે જૂથની ફલેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ પાસેથી ૨.૪૬ કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે, જે ગયા વર્ષ કરતાં માત્ર ૩ ટકા વધુ છે. આ સિવાય તેમને અદાણી પોર્ટ્સમાંથી ૬.૮ કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. જેમાં ૫ કરોડ રૂપિયાનું કમિશન સામેલ છે.
રિપોર્ટ અનુસાર, ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીનો પગાર દેશના લગભગ તમામ મોટા કોર્પોરેટ જૂથોના ચેરમેનોને મૃતા પગાર કરતાં ઓછો છે. ગૌતમ અદાણીની સેલરી ટેલિકોમ જાયન્ટ ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલ (નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૧૬.૭ કરોડ), રાજીવ બજાજ (રૂ. ૫૩.૭ કરોડ), પવન મુંજાલ (રૂ. ૮૦ કરોડ), L&Tના ચેરમેન એસએન સુબ્રમણ્યન અને ઇન્ફોસીસના સીઇઓ એસ.એસ. પારેખ કરતાં ઘણી ઓછી છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ૧૦૬ બિલિયન ડોલર છે અને તેઓ વિશ્વના ૧૪મા સૌથી ધનિક વ્યક્તિ છે. અમીરોની આ ટોચની યાદીમાં સામેલ બીજા ભારતીય અબજોપતિની વાત કરીએ તો તે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી છે અને તેમની કુલ સંપત્તિ ૧૧૧ અબજ ડોલર છે, જેના કારણે તેઓ આ યાદીમાં ૧૨મા સ્થાને છે. જો કે, જો પગાર સાથે સરખામણી કરવામાં આવે તો એ વાત જાણીતી છે કે મુકેશ અંબાણી દેશમાં કોરોના રોગચાળાની શરૂઆતથી કોઈ પગાર નથી લઈ રહ્યા, તે પહેલા તેમનો વાર્ષિક પગાર લગભગ ૧૫ કરોડ રૂપિયા હતો.
Visit Saurashtra Kranti E-paper here