ક્રિકેટરમાંથી એક્ટર બનેલા સલીલ અંકોલા હાલમાં હોસ્પિટલમાં એડમિટ

ક્રિકેટરમાંથી એક્ટર બનેલા સલીલ અંકોલા કોરોના પોઝિટિવ છે અને મુંબઈની જોગેશ્ર્વરી સ્થિત એક હોસ્પિટલ એડમિટ છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાની હેલ્થ અંગે વાત કરતાં કહૃાું હતું, ’આ બહુ જ ડરામણો સમય છે. આશા છે કે આગામી ૭ દિવસમાં હું આ પરિસ્થિતિમાંથી બહાર આવી જઈશ.’ અંકોલાના મતે હોસ્પિટલમાં જ્યારે તેઓ એડમિટ થયા ત્યારે તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.

અંકોલાએ કહૃાું હતું, ’હું જયપુર જવાનો હતો. આ પહેલાં મેં કોવિડ ૧૯નો ટેસ્ટ કરાવ્યો અને નવાઈની વાત એ છે કે તે પોઝિટિવ આવ્યો.’ ત્યારબાદ સલીલ અંકોલાએ જયપુરની ટ્રિપ કેન્સલ કરીને ઘરમાં જ ક્વૉરન્ટીન થવાનું નક્કી કર્યું હતું. જોકે, થોડાં દિવસ બાદ તેમની તબિયત બગડી હતી અને તેમને છાતીમાં દુખાવો થતો હતો. તેમની પત્ની રિયાએ ડૉક્ટરને બોલ્યા અને નક્કી કર્યું કે તેમણે હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. અંકોલાએ આગળ કહૃાું હતું, ’મારું ઓક્સિજન લેવલ ૮૦ થઈ ગયું હતું.

હું ઓલ ક્યોર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, જોગેશ્ર્વરી ગયો. હું શ્ર્વાસ લઈ શકતો નહોતો. હોસ્પિટલમાં મને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. ૨૮ ફેબ્રુઆરીના રોજ સવારે પાંચ વાગે હું દાખલ થયો. મને ઉધરસ તથા તાવ હતો. કોવિડને કારણે ન્યૂમોનિયા થઈ ગયો છે.’ અંકોલાએ ટાઈમ્સ સાથે વ્હોટ્સએપ પર વાત કરી હતી, કારણ કે હજી પણ તેમને બહુ જ ઉધરસ આવે છે અને તે સહજતાથી વાત કરી શકે તેમ નથી.