જામનગરમાં યુવક અને યુવતી આજે દીક્ષા અંગીકાર કરશે

જામનગરમાં યુવક, યુવતીએ સંયમના માર્ગે પ્રયાણ કરતા દીક્ષા અંગીકાર કરશે. શહેરમાં સોમવારે જૈનમ જયતિ શાસનના નાદ સાથે બંને દીક્ષાર્થીનો વર્ષીદાનનો વરઘોડો નિકળ્યો હતો.શહેરના શેઠજી દેહરાસર ચોકમાં ૧૦ માર્ચના બંને દિક્ષાર્થીની પ્રવજયા વિધિ થશે. જામનગરમાં રહેતા કિર્તિદાબેન અને ચંદ્રેશભાઇ દોશીના પુત્ર અક્ષય(ઉ.વ.૨૧) અને મૂળ પાલીતાણા હાલ ભાવનગર રહેતા શિલ્પાબેન અને દિલીપભાઇ શાહની પુત્રી માનસી(ઉ.વ.૨૫) સંયમના માર્ગે પ્રયાણ કરી દીક્ષા અંગીકાર કરશે. શહેરમાં સોમવારે બંને દિક્ષાર્થીનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો. ચાંદીબજારથી હવાઇચોક સુધી નીકળેલા વરઘોડામાં શણગારેલી બગી, રથ સાથે મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતાં. માર્ગમાં ભાવિકો ઉમટી પડતા બંને દિક્ષાર્થીએ હાથ જોડી વંદન કર્યા હતાં. મંગળવારે બંને દિક્ષાર્થીનો અષ્ટોતરી અભિષેક થશે. બુધવારના સવારે શેઠજી દેહરાસર ચોકમાં બંને દિક્ષાર્થીની પ્રવજયા વિધિ થશે.