25 મેના રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ કોંગ્રેસ સ્થાનિક થી લઇ દિલ્હી સુધી આક્રમક રહી છે. શનિવારે કોંગ્રસ સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પીડિત પરિવાર સાથે ઝૂમ દ્વારા વિડિયો કોન્ફરન્સ વાતચીત કરી હતી. આ મામલો સંસદમાં પણ લઈ જવા તૈયારી દર્શાવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલ વાતચીતમાં અગ્નિ કાંડ બાદ સરકાર દ્વારા કેવા પગલાં લેવાયા તેની વિસ્તૃતમાં ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત રાજકોટ મનપાના ટીપીઓ, ફાયર સહિતના વિભાગોના અધિકારીઓ જેલમાં છે તો અમુક રિમાન્ડ પર છે. તો શું હવે મનપાના પદાધિકારીઓ પણ છાંટા ઉડશે તેવી એક ચર્ચા જાગી છે. એવું મનાય રહ્યું છે કે વડાપ્રધાન આકરા પગલાં લેવાની તૈયારીમાં છે. ઉલ્લેખનિય છે કે મોરબી ઝૂલતો પુલ તૂટ્યા બાદ આખી નગરપાલિકા સુપર સિડ કરવામાં આવી હતી. રાજકોટ મનપામાં શું પદાધિકારીઓ બદલાશે કે આખી મનપા સુપર સિડ થશે તે ટુંક સમયમાં જોવાનું રહ્યું.
હવે ટૂંક સમયમાં અષાઢી બીજ ની રથયાત્રા બાદ રાજ્યના કેબિનેટ મંત્રીમંડળમાં ફેરબદલ થશે. વધુ મંત્રીઓ ઉમેરાશે તો અમુક કપાશે તો આ બાબતે મુખ્યમંત્રીએ વડાપ્રધાનનું માર્ગદર્શન મેળવ્યું હોય તેવું સૂત્રો જણાવે છે. ઉલ્લેખનિય છે કે આગામી સમયમાં હવે પંચાયતની ચૂંટણીઓ યોજાશે અને ત્યારબાદ એક વર્ષમાં અલગ અલગ મનપાની પણ ચૂંટણી આવશે તેથી હવે તે રીતે મંત્રી મંડળમાં ફેરફાર કરાશે.
હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા રાજ્યના તમામ સાંસદો અને ઉમેદવારો સાથે લોકસભા ચૂંટણી અંગે બેઠક યોજી હતી જેમાં કોને કેવી કામગીરી કરી તેનો રિપોર્ટ મેળવ્યો હતો. આ ચૂંટણી દરમ્યાન જેને ભાજપ વિરૂધ્ધ કામગીરી તેનો રિપોર્ટ પણ પ્રધાનમંત્રીને સોંપાયો હતો. સમગ્ર રિપોર્ટ બાદ હવે વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પગલાં લેશે તેવું મનાઈ રહ્યું છે.હાલમાં ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાનજી વિરાણી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવાનો આરોપ છે. શનિવારે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વચ્ચે ચાલેલી એક કલાક લાંબી બેઠક બાદ હવે કેવા નિર્ણયો આવે છે તેના પર સૌની નજર છે.
Visit Saurashtra Kranti E-paper here