કેન્દ્રીય ઉપભોકતા બાબતોના સચીવ નિધિ ખરેએ શુક્રવારે કહ્યું હતું કે તુવેર, ચણા અને અડદની દાળના ભાવ જુલાઈથી ઘટે તેવી શકયતા છે. ચોમાસું સારું રહેવાની ધારણા છે અને આયાત પણ વધશે તેને કારણે ભાવ ઘટશે. ભાવવધારા અંગે ગભરાટની જરૂર નથી.સચીવે કહ્યું હતું કે, આવતા મહિનેથી આ ત્રણ કઠોળની આયાત વધશે જેને કારણે પણ સ્થાનિક બજારમાં સપ્લાય વધશે. છેલ્લાં છ મહિનાથી તુવેર, ચણા, અડદ દાળના ભાવ સ્થિર છે પણ ઉંચા છે. મગની દાળ અને મસુરની દાળના ભાવમાં સ્થિતિ સારી છે. 13 જૂનના રોજ ચણાની દાળના સરેરાશ રિટેલ ભાવ કિલોગ્રામ દીઠ રૂા.87.84 હતા.
![શું ફરી અડદની દાળ, તુવેર, ચણાના ભાવ ઘટશે ? ચાલો જાણીયે… અડદની દાળ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
તુવેર દાળના ભાવ કિલોગ્રામ દીઠ રૂા.160.75 હતા, અડદની દાળના ભાવ કિલોગ્રામ દીઠ રૂા.126.67 હતા. મગની દાળના ભાવ કિલોદીઠ રૂા.118.9 હતા અને મસુર દાળના ભાવ કિલોદીઠ રૂા.94.34 હતા. ઉપભોકતા બાબતોનું મંત્રાલય મહત્વના 550 સેન્ટર ખાતેથી રિટેલ ભાવ મેળવે છે.ખરેએ કહ્યું કે તુવેર, અડદ અને ચણાની દાળના ભાવ આવતા મહિનાથી ઘટવાની સંભાવના છે. કારણ કે ત્યાં સુધીમાં વરસાદ પણ સારો પડવાનું શરૂ થઈ ગયું હશે. તેમણે કહ્યું કે કઠોળનું વાવેતર પણ નોંધપાત્ર વધવાની સંભાવના છે. બજારમાં ઉંચા ભાવ હોવાથી ખેડુતો વાવેતર વધારશે. સરકાર પણ ખેડુતોને બિયારણ પહોંચાડવા પ્રયાસ કરી રહી છે.
![શું ફરી અડદની દાળ, તુવેર, ચણાના ભાવ ઘટશે ? ચાલો જાણીયે… અડદની દાળ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સ્થાનિક બજારમાં કઠોળના ભાવ કાબુમાં રહે તે માટે સરકાર તમામ જરૂરી પગલાં લેશે. સરકારે ભારત ચણા દાળ કિલોગ્રામ દીઠ રૂા.60ના ભાવથી વેચવાનું શરૂ કર્યું છે. જેનાથી સામાન્ય માણસને રાહત થશે.ગત નાણાકીય વર્ષમાં ભારતે 8 લાખ ટન તુવેર દાળની આયાત કરી હતી અને 6 લાખ ટન અડદની દાળની આયાત કરી હતી. મ્યાનમાર અને આફ્રિકન દેશોમાંથી મોટાભાગે આ આયાત થાય છે. આયાત માટે વૈશ્વિક સપ્લાયર્સ સાથે પણ મંત્રાલય સતત સંપર્કમાં હોવાનું સચીવે કહ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક રિટેલર્સ, હોલસેલર્સ અને મોટી રિટેલ ચેઈનના પણ સંપર્કમાં છે જેથી કયાંય મોટી સંગ્રહખોરી ન થાય.
Visit Saurashtra Kranti E-paper here