૧૦ મે ના રોજ કેદારનાથ મંદિરના કપાટ ખુલ્યા હતા. ૨૧મી મે ના રોજ રેકોર્ડ તોડ ૩૮૬૮૨ શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. ચારધામની યાત્રામાંના મહત્વના શ્રધ્ધા કેન્દ્ર પવિત્ર કેદારનાથના એક મહિનામાં રેકોર્ડતોડ ૭.૬૬ લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા છે. ભગવાન આશુતોષના દ્વાદશ જયોતિર્લિગમાં આ એક રેકોર્ડ છે. એક ગણતરી મુજબ દરરોજ સરેરાશ ૨૫ હજાર જેટલા શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટયા હતા. ૧૦ મે ના રોજ કેદારનાથ યાત્રાની શરુઆત થઇ હતી ત્યાર બાદ ૨૧ મી મે ના રોજ રેકોર્ડ તોડ ૩૮૬૮૨ શ્રધ્ધાળુંઓએ કેદરનાથની પાવનભૂમિ પર પ્રવેશ કર્યો હતો. મંદિરના કપાટ ખુલ્યા તે દિવસે ૨૯૦૦૦ શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.
પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો. બાર જયોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી આથી પગપાળા કે ઘોડા પર સવાર થઈ અથવા ડોળી (પાલખી) દ્વારા જવું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી જેટલા અંતરે આવેલું છે.
આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અક્ષય તૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજનઅર્ચન અર્થે લાવવામાં આવે છે. આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજયમાં રૂદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે.
Visit Saurashtra Kranti E-paper here