સિવિલ હોસ્પિટલનાં તંત્રને હજારો દર્દીઓની રોજીંદી પીડા અને યાતના દેખાતા નથી?

સિવિલ હોસ્પિટલનાં તંત્રને હજારો દર્દીઓની રોજીંદી પીડા અને યાતના દેખાતા નથી?
સિવિલ હોસ્પિટલનાં તંત્રને હજારો દર્દીઓની રોજીંદી પીડા અને યાતના દેખાતા નથી?

એક્સ-રે વિભાગ અને પાટો બાંધવાના વિભાગ વચ્ચે ખાસું લાંબુ અંતર: બે બિલ્ડીંગ વચ્ચેનો રસ્તો પણ ખરાબ હોવાથી ઘણીવાર વ્હીલચેરમાંથી દર્દી ઉથલી પડતા હોવાના પણ બનતા કિસ્સા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફેકચરનાં દર્દીઓનાં ઘા પર મીઠું ભભરાવતું તંત્ર: તંત્ર સામે જબરદસ્ત લોકરોષ

રાજકોટ સિવિલ હોસ્પિટલનું સંચાલન કરવા માટે સરકાર કોઈ કચાશ રાખતી નથી. પુરતી ગ્રાન્ટ, સાધન સરંજામ અને પુરવઠાની સહાય બધું જ પૂરું પાડવામાં આવે છે. પરંતુ સરકારનાં ભરચક પ્રયાસો છતાં સિવિલ હોસ્પિટલનાં અણઘડ, બિનકાર્યક્ષમ અને તર્કવિહિન માંદલા વહીવટને કારણે દર્દીઓ અને એમાંય ખાસ કરીને ફેકચરનાં દર્દીઓને થઇ રહેલી હેરાનગતિ અનેક સવાલો સર્જી રહી છે અને તંત્ર સામે પ્રચંડ લોકરોષનું કારણ બની રહી છે. હાથ-પગમાં કે માથામાં ફેકચરની ઈજા થઇ હોય એવા દર્દીઓ માટે એક્સ-રે વિભાગ અને સારવાર વિભાગ વચ્ચે લાંબુ અંતર રાખીને સિવિલ તંત્ર દ્વારા રોજેરોજ બુધ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

એક તો હાથે-પગે ઈજા થઇ હોય, ચાલી શકાતું ન હોય છતાં આવા દર્દીઓને એક્સ-રે કરાવ્યા બાદ એકમાંથી બીજી બિલ્ડીંગ તરફ જવું પડે છે અને આશ્ર્ભર્યની હદ તો ત્યાં છે કે, પાટાપીંડી માટેનો વિભાગ પણ બીજી બિલ્ડીંગ છેક પાંચમાં માળે છે. હવે કલ્પના કરી જુઓ ફેકચરની ઈજા સાથે અહીં આવેલા દર્દીઓને અકારણ કેટલી બધી ભયંકર પીડા, યાતના અને હેરાનગતિ સહન કરવા પડતા હશે. જો આવી વ્યવસ્થા જ્યાં હોય ત્યાં દર્દીઓને રાહત થવાને બદલે એમની ઈજા વધુ ગંભીર થઇ જવાનો ભય સતાવતો હોય તો તેમાં કોઈ નવાઈ નથી.

રાજકોટ હોસ્પિટલનાં સંચાલન કરનારા સિવિલ સર્જન અને અન્ય વહીવટી વિભાગને રોજેરોજ અહીં આવતા ફેકચરનાં દર્દીઓની યાતનાનો અંત લાવવાનું સૂઝતું નથી. તેના કારણે દર્દીઓ અને એમના પરિવારજનોને અકથ્ય હાડમારીનો ભોગ બનવું પડ્યું છે. પરંતુ તંત્ર આંખો મીચીને બેઠું હોય ત્યાં બિચારા દર્દીઓ શું કરી શકે. બેવડી યાતના અને પીડાનો ભાર ઊંચકીને સેંકડો દર્દીઓ એક્સ-રે વિભાગ અને પાટાપીંડી વિભાગ વચ્ચે આટાફેરા કરવા મજબુર બને છે. પણ સિવિલનાં તંત્ર વાહકોને એમની હાલતની જરા પણ દયા આવતી નથી અને દર્દીઓની હાલત દયાજનક બની રહે છે.

એક્સ-રે વિભાગને અડીને જ સારવાર એટલે કે પાટાપીંડીનો વિભાગ હોવો જોઈએ. એ હકીકત પહેલા ધોરણમાં ભણતો બાળક પણ સમજી શકે છે પણ સિવિલ સર્જન અને તબીબોને આ સામાન્ય હકીકત સમજમાં આવતી નથી. વાસ્તવિકતા એ છે કે, ખબર બધી જ પડે છે પણ લોકોની યાતનાઓમાંથી પાશવી આનંદ ઉઠાવવાની આ તંત્રને આદત પડી ગઈ છે એવું કહીએ તો ખોટું નહીં ગણાય. આ દિશામાં આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર લાલઆંખ કરે અને સિવિલ તંત્રને સમજદારીનો ડોઝ આપે તો હજારો દર્દીઓની યાતનાનો અંત આવી શકે છે. નહિતર રોજેરોજ ગરીબ અને મધ્યમ વર્ગનાં દર્દીઓ કોઈ વાંક, ગુના વિના આવી રીબામણી સહન કરતા રહેશે.

સિવિલ હોસ્પિટલનાં તંત્રનાં વહીવટ માટે ટીકાનાં શબ્દો હવે ટૂંકા પડવા લાગ્યા છે. રાજ્ય સરકાર અને આરોગ્ય મંત્રાલય પણ જો તટસ્થ ધોરણે તપાસ કરી રીપોર્ટ મંગાવે તો સિવિલતંત્રનાં કબાટમાંથી અણઘણ વહીવટની આવી અનેક ચોંકાવનારી ગાથાઓ બહાર નીકળી પડશે. એવું નથી કે એક્સ-રે રૂમની બાજુમાં બીજી કોઈ જગ્યા નથી. સિવિલ હોસ્પિટલનું પરિસર ઘણું મોટું છે, અનેક બિલ્ડીંગ બનેલા છે. ત્યારે ફેકચરનાં દર્દીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર જ એક્સ-રે અને સારવારનાં વિભાગ બાજુ-બાજુમાં જ હોવા જોઈએ. એવી પ્રચંડ લોક લાગણી ઉઠવા પામી છે.

Read About Weather here

તાજેતરમાં એક આધેડ વયનાં મહિલા દર્દી એક્સ-રે કાઢવી, વ્હીલચેરમાં બેસી બીજી બિલ્ડીંગ તરફ પાટાપીંડી કરાવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તો વચ્ચે ખરાબ હોવાથી અને ખાડા હોવાથી વ્હીલચેરમાંથી ઉથલી પડ્યા હતા. સદનશીબે એમને વધુ ગંભીર ઈજા થઇ નથી અને મહામહેનતે એમને એમના પરિજનો અને આસપાસનાં સેવાભાવી લોકોએ વ્હીલચેરમાં બેસાડ્યા હતા અને માંડ-માંડ પાંચમાં માળે પહોંચ્યા હતા. આવી તો ઘણી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે પણ લાચાર દર્દીઓ અને એમના પરિજનો મુંગા મોઢે સહન કરતા રહે છે કેમકે તંત્રવાહકો લાપરવાહ છે. એમનામાં દયાનો છાંટો નથી એટલે દર્દીઓની દયાજનક સ્થિતિની એમને દયા આવે એવી અપેક્ષા રાખવી પણ મુર્ખામી છે. ઉચ્ચ સ્તરે ગાંધીનગરથી રાજ્ય સરકાર અને આરોગ્ય મંત્રાલય આ અંગે તપાસ કરાવી કડકમાં કડક આદેશ આપે એ જરૂરી બન્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here