શિક્ષણ મંત્રાલયે મંગળવારે શાળાઓમાં ‘બેગલેસ ડે’ના અમલની NCERT દ્વારા નિર્ધારિત કરાયેલી માર્ગરેખાની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગરેખામાં વધુ સુધારો કરવામાં આવશે.
NCERTના પીએસએસ ઇન્સ્ટિટ્યુટ ઓફ વોકેશનલ એજયુકેશને ‘બેગલેસ ડે’ લાગુ કરવા માટે વ્યાપક માર્ગરેખા વિક્સાવી હતી. તેનો હેતુ શાળાના ભણતરને વધુ આનંદદાયી, પ્રયોગાત્મક અને તણાવમુક્ત બનાવવાનો છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘મીટિંગમાં વિવિધ સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને સ્થાનિક પર્યાવરણ માટે સંવેદનશીલ બનાવવા, પાણીની શુદ્ધતા ચકાસતા શીખવવું, સ્થાનિક સ્મારકોની મુલાકાત લેવા સહિતની બાબતો ચર્ચાઈ હતી. સમીક્ષાને આધારે પીએસએસ માર્ગરેખાને વધુ ચુસ્ત બનાવશે.’
![ભણતરનો બોજ ઘટાડવા સરકાર સજ્જઃ શાળાઓમાં ‘બેગલેસ દિવસ'ના અમલ ટૂંક સમયમાં જ બેગલેસ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
નેશનલ એજયુકેશન પોલિસી ૨૦૨૦માં છઠ્ઠાથી આઠમા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને ૧૦ દિવસના ‘બેગલેસ ગાળા’ના અમલ માટે ભલામણ કરવામાં આવી હતી. ભલામણ અનુસાર સૂચિત ગાળામાં વિદ્યાર્થીઓ સ્થાનિક સ્તરે વિવિધ સ્કિલ્સ ધરાવતા નિષ્ણાતો હેઠળ તાલીમ મેળવશે અને શાળાની બહારના માહોલમાં જુદીજુદી પ્રવૃત્તિ કરશે.
![ભણતરનો બોજ ઘટાડવા સરકાર સજ્જઃ શાળાઓમાં ‘બેગલેસ દિવસ'ના અમલ ટૂંક સમયમાં જ બેગલેસ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
રાજયોને કેન્દ્ર સાથે મળી સુદ્રઢ શિક્ષણ વ્યવસ્થા બનાવવા ધર્મેન્દ્ર પ્રધાનની હાકલ
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે રાજયોને કેન્દ્ર સાથે મળીને દેશની શિક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા હાકલ કરી હતી. જેમાં તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શિક્ષણ વ્યવસ્થાની ઉત્તમ પ્રક્રિયા અને પદ્ધતિને અનુસરવાનો પ્રયાસ કરવા જણાવાયું હતું. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગની સમીક્ષા બેઠકમાં મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આવી ટિપ્પણી કરી હતી. મીટિંગમાં મંત્રાલયની ફલેગશિપ યોજનાઓ સમગ્ર શિક્ષા, પીએમ શ્રી, પીએમ પોષણ અને ઉલ્લાસને નવી શિક્ષણ નીતિ (NEP) સાથે સુસંગત બનાવવાની ચર્ચા કરાઈ હતી. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ‘દેશની શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા કેન્દ્ર અને રાજયોએ એક ટીમની જેમ કામ કરવું પડશે. જેથી શિક્ષણને ‘વિકસિત ભારત’નો મજબૂત સ્તંભ બનાવી શકાય.’ તેમણે કહ્યું હતું કે, ‘નવી શિક્ષણ નીતિના લગભગ ચાર વર્ષમાં દેશની શિક્ષણ વ્યવસ્થાએ નોંધપાત્ર પ્રગતિ સાધી છે. નવી પોલિસીનો હેતુ તમામ નાગરિકોને સમાન અને સમાવેશી રીતે ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો છે.’ તેમણે જણાવ્યું હતું કે, NEP ૨૦૨૦માં માતૃભાષા અને તમામ ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપવા પર ભાર મુકાયો છે.
![ભણતરનો બોજ ઘટાડવા સરકાર સજ્જઃ શાળાઓમાં ‘બેગલેસ દિવસ'ના અમલ ટૂંક સમયમાં જ બેગલેસ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti E-paper here