કોરોનાની રસી મૂકવા માટે સરકારે કેટલીક ગાઇડલાઇન અમલી બનાવી

રસી મૂકાવનાર પ્રત્યેક વ્યક્તિને ૩૦ મિનિટ ઓબ્ઝર્વેશનમાં રખાશે

કોરોનાની રસી મૂકવા માટે સરકારે કેટલીક ગાઇડલાઇન અમલી બનાવી છે. રસીકરણ માટે રાજ્યના દરેક જિલ્લાની સાથે સુરતમાં પણ રસીકરણમાં જોડાનારા કર્મચારીઓને ટ્રેિંનગ આપી દેવામાં આવી છે. ત્યારે રસીકરણ વખતે સૌથી મહત્ત્વનો મુદ્દે સામે આવ્યો છે કે, રસી મૂકાવનાર પ્રત્યેક વ્યક્તિને ૩૦ મિનિટ ઓબ્ઝર્વેશનમાં રખાશે. સરકારે હાલ જે ગાઇડલાઇન જારી કરી છે તે મુજબ દરેક સેન્ટર પર દરરોજ ૧૦૦ વ્યક્તિને રસી મૂકવામાં આવશે. રસીકરણ માટે જ્યાં સેન્ટર ઊભા કરાશે ત્યાં અલગ-અલગ ત્રણ રૂમની વ્યવસ્થા ઊભી કરવા આદેશ કર્યો છે. એક રૂમ વેઇિંટગ રૂમ તરીકે, બીજો રસી મૂકવા માટે અને ત્રીજા પરંતુ સૌથી મહત્ત્વનો રૂમ એટલે કે વિશ્રામ રૂમ, રસી મૂક્યાં બાદ દરેક વ્યક્તિને ૩૦ મિનિટ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

રસીને કોઇ આડઅસર તો થતી નથીને, તેની ચોકસાઇ કરવા માટે ૩૦ મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે. જો આ ૩૦ મિનિટમાં ખંજવાળ આવે કે અન્ય કોઇ સાઇડ ઇફેક્ટ થશે તો તુરત જ સારવાર આપવામાં આવશે તેમજ વધુ સારવારની જરૂર પડશે તો સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાશે. કોરોનાની રસી મૂકવા માટે હાલ હેલ્થ વર્કરથી માંડીને સરકારી કર્મચારી અને ૫૦ વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોનો સરવે કરવામાં આવી રહૃાો છે. સુરત શહેરમાં પાલિકા અને જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ ડેટા ભેગો કરાઇ રહૃાો છે.

ત્યારે અત્યાર સુધીમાં સરકારી ચોપડે ૯૨૯૩ સરકારી અને ખાનગી હોસ્પિટલ, ક્લિનિકમાં ફરજ બજાવતા હેલ્થવર્કર, ૧૬૭૯૩ સરકારી કર્મચારી, ૨.૯૭ લાખ ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો અને ૧૪ હજાર ગંભીર બીમારી ધરાવતા લોકો નોંધાઇ ચૂક્યા છે. હજુ પણ સરવે તેમજ સરકારી કર્મચારીઓનો ડેટા ભેગો કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.