રાજકોટમાં જ્યોતિષીના ગોરખધંધાનો વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ

રાજકોટમાં ૧૦ વર્ષથી દોરા, ધાગા, જ્યોતિષ, મૂળાની વિધિથી ઉતારનું કામ કરનાર જ્યોતિષી અશ્ર્વિન મણીલાલ મહેતાના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અને તાલુકા પોલીસની મદદથી પર્દાફાશ થયો છે. રાજકોટના વકીલ સાથે છેતરપીંડી કરતાં જ્યોતિષીનો ભાંડાફોડ થયો છે. ત્રણ માસથી નાસતો ફરતો જ્યોતિષી આખરે પકડાતા અને લોકઅપનો અનુભવ થતા બધી જ જ્યોતિષી નીકળી ગઇ છે. લગ્નમાં બે વાર નિષ્ફળ અશ્ર્વિન મહેતાને જ્યોતિષ વિદ્યા કામ આવી નહી. ધોરાજીના વતની અને રાજકોટના ગોપાલનગરમાં રહેતા વકીલ અશ્ર્વિન નાનજીભાઈ ગોહેલને આ જ્યોતિષીનો કડવો અનુભવ થયો હતો.

તેઓએ પોતે આપેલી રકમ પરત માગતા અશ્ર્વિન મહેતાએ ગલ્લાતલ્લા કર્યા હતા. બાદમાં થાય તે કરી લેવાની ધમકી આપી હતી. જ્યોતિષીએ પડકાર આપતા વકીલે રાજકોટના અન્ય પરિવારોને આ જ્યોતિષી છેતરે નહીં તે માટે તાલુકા પોલીસ સ્ટેશન અને વિજ્ઞાન જાથામાં અરજીની નકલ આપી હતી. તાંત્રિક વિધિની વિસ્તૃત માહિતી સાથે જ્યોતિષીને પાઠ ભણાવવાનું નક્કી કર્યુ. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સમક્ષ વકીલ અશ્ર્વિન ગોહેલે સમગ્ર હકીકતની જણાવી હતી. બીજા સાથે છેતરિંપડી ન કરે તે માટે રજુઆત કરી. જાથાએ માહિતીના આધારે ખરાઈ કરવાનું નક્કી કર્યુ હતું.

બાદમાં જાથાના બે કાર્યકરોએ મોરબી રોડ પર બાપા સિતારામ સોસાયટી પાસે રહેતા જ્યોતિષ અશ્ર્વિન મહેતાના ઘરે તપાસ કરી હતી. જેમાં અશ્ર્વિન જ્યોતિષ વિદ્યાના નામે અનેક લોકો સાથે છેતરપીંડી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યોતિષ વિશે લોકોને પૂછતા જણાવ્યું હતું કે, મૂળા ઉતાર વિધીમાં સ્મશાનમાં ઉતાર મૂકવો, માતાજીના મઢમાં તાંત્રિક વિધીની વસ્તુ મૂકવી, મેલી વિદ્યાનો છાયો, પિતૃ, ગ્રહ નડતર નિવારણ, મૂળો છોડવો સહિતની વિધીનો ડર બતાવી અશ્ર્વિન મહેતા લોકો સાથે છેતરિંપડી કરતો હોવાનું બહાર આવ્યું હતું.