સાબરમતી નદીમાં ઇમરજન્સી રેસ્ક્યુ માટે બે મોટી એર બોટ બંને છેડે રાખવામાં આવશે

વડાપ્રધાન મોદી ૩૧મી ઓક્ટોબરે સી પ્લેન પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે કેવડિયાથી સી પ્લેનમાં બેસીને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ આવશે. ત્યારે તેમની સુરક્ષા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગરૂપે સુરક્ષા માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સી પ્લેનના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક રેસ્ક્યૂ માટે ફાયર બ્રિગેડ, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નેવીની ટીમો તહેનાત કરવામાં આવી છે. આ માટે બે મોટી રેસ્ક્યૂ એર બોટ મુકવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતેના વોટર એરોડ્રામ બિલ્ડીંગ ખાતે એક ફાયર ફાઈટર અને એક એમ્બ્યિુલન્સ ઈમરજન્સી માટે હાજર રહેશે. ફાયર બ્રિગેડની સાથે સ્ટેટ ડિઝાસ્ટર અને નેવીની ટીમો આજે અમદાવાદ આવી પહોંચી છે.

અમદાવાદ ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ અનિચ્છનીય બનાવને પહોંચી વળવા માટે સરદારબ્રિજથી આંબેડકરબ્રિજ સુધીમાં પૂર્વ અને પશ્ર્ચિમ છેડે એક એક મોટી એર બોટ મુકવામાં આવી છે જે વધીને પાંચ મિનિટમાં કોઈ પણ સ્થળે પહોંચી શકે છે અને એક ફાયર ફાઈટીંગ બોટ જે આંબેડકરબ્રિજ નીચે મુકવામાં આવશે. અધિકારીઓ સહિત ૧૬ જેટલા ફાયરના કર્મચારીઓ રેસ્કયુ માટે હાજર રહેશે. નદીમાં પ્લેનના આવવાના અને જવાના સમય પહેલા નદીમાં કોઈ મુવમેન્ટ કરવામાં નહિ આવે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ કાર્યક્રમ હોવાથી નદીમાં સુરક્ષા અને રેસ્ક્યુ માટે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પણ અમદાવાદ આવી પહોંચી છે. નદીમાં કુલ ૫ જેટલી રેસ્ક્યુ બોટ અત્યારે મુકવામાં આવી છે અને એર બોટનું ટેસ્ટિંગ સ્ટેટ ડિઝાસ્ટર અને ફાયરબ્રિગેડની ટીમો દ્વારા કરવામાં આવી રહૃાું છે. આવતીકાલ સુધીમાં તમામ પ્રક્રિયા પુરી કરી દેવામાં આવશે. બે સ્ટેટ ડિઝાસ્ટર, બે ફાયરબ્રિગેડ અને એક નેવીની ટીમ ખડેપગે રાખવામાં આવી છે.