![TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ માટેની સત્ય શોધક કમીટીની રાજકોટમાં કલેકટર-કમિશ્નર સાથે કલેકટર કચેરીમાં મીટીંગ યોજાઈ TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ માટેની સત્ય શોધક કમીટીની રાજકોટમાં કલેકટર-કમિશ્નર સાથે કલેકટર કચેરીમાં મીટીંગ યોજાઈ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની સરકાર કક્ષાએથી ઉંડી તપાસ ચાલી રહી છે અને હાઇકોર્ટે આ તપાસ પર મોનીટરીંગ ગોઠવ્યું છે ત્યારે સરકારે તાજેતરમાં બનાવેલી બીજી ખાતાકીય તપાસ સમિતિની ટીમ આજે બપોરે રાજકોટ આવી પહોંચી છે. હાઇકોર્ટે સત્ય શોધક કમીટી બનાવવા કરેલા આદેશના પગલે ત્રણ સીનીયર અધિકારીને તપાસમાં મૂકવામાં આવતા આજે બપોરે કલેકટર કચેરીમાં મીટીંગ રાખવામાં આવી છે.
![TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ માટેની સત્ય શોધક કમીટીની રાજકોટમાં કલેકટર-કમિશ્નર સાથે કલેકટર કચેરીમાં મીટીંગ યોજાઈ અગ્નિકાંડ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આ સાથે આ તપાસ સમિતિ મહાપાલિકાની મુલાકાત લઇને બેઠક કરે તેવી પણ સંભાવના વ્યકત થઇ છે. કોર્પોરેશનમાં અગ્નિકાંડ પૂર્વેના ગેમ ઝોનને લગતા સાહિત્યના ઘટનાક્રમ અને બનાવ બાદની તપાસ સહિતની કાર્યવાહીનો રીપોર્ટ આ સમિતિ મ્યુનિ. કમિશનર પાસેથી લેશે તેવું જાણવા મળ્યું છે.
![TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ માટેની સત્ય શોધક કમીટીની રાજકોટમાં કલેકટર-કમિશ્નર સાથે કલેકટર કચેરીમાં મીટીંગ યોજાઈ અગ્નિકાંડ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ગેમઝોન અગ્નિકાંડની ઘટના રાજય સરકારે બનાવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ ચલાવી રહી છે. પ્રાથમિક રીપોર્ટ સરકારને સોંપી પણ દીધો છે. આ બાદ પણ હાઇકોર્ટને સંતોષ ન થતા સત્ય શોધક કમીટી બનાવવા હુકમ કર્યો હતો. જેના પગલે સોમવારે સરકારે સચિવ કક્ષાના ત્રણ અધિકારીઓની કમીટી બનાવી હતી. તેમાં મહેસુલ વિભાગના જમીન સુધારણા કમિશનર અને હોદ્દાની રૂએ સચિવ પી.સ્વરૂપ, ગ્રામ વિકાસ કમિશ્નર અને પંચાયત ગ્રામ વિકાસ સચિવ મનીષા ચંદ્રા તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન, મુખ્ય કારોબારી અધિકારી રાજકુમાર બેનીવાલ એમ ત્રણ સીનીયર આઇએસ અધિકારીઓનો સમાવેશ થાય છે.
હવે આ સમિતિ આ અગ્નિકાંડ માટે જવાબદાર અધિકારીઓ અંગે ખાતાકીય તપાસ કરનાર છે. આ કમીટીએ પણ અલગથી રીપોર્ટ આપવાનો છે. સીટનો રીપોર્ટ આવે એ પહેલા ફરી આ એક કમીટી બનાવવામાં આવતા અલગથી વહીવટી તપાસનો દૌર શરૂ થયો છે. આ કમીટીના ત્રણે સભ્યો આજે બપોરે રાજકોટ પહોંચ્યા છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશી, મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇ સહિતના બંને કચેરીના અધિકારીઓ સાથે તેઓ કલેકટર કચેરીના સભાખંડમાં મીટીંગ કરનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ટીઆરપી ગેમ ઝોનના બાંધકામ, ડિમોલીશનની નોટીસ, ઇમ્પેકટ ફી યોજનામાં ફાઇલ મૂકવા સહિતની પ્રક્રિયા કોર્પો.માં થઇ હતી. તેમાં બેદરકારી અને સાંઠગાંઠના પર્દાફાશ થયા હતા. ટીપીઓ સહિતના અધિકારીઓની ધરપકડ બાદ આ અધિકારીઓ અને ફાયરના અધિકારીઓ જેલહવાલે પણ થયા છે.
તેવામાં સીટ અને પોલીસની તપાસ વચ્ચે આજે ખાતાકીય તપાસ સમિતિ રાજકોટ પહોંચતા ફરી મનપા, કલેકટર, પોલીસ તંત્રમાં દોડાદોડી શરૂ થઇ છે. અધિકારીઓની ભૂમિકા, ચાલી રહેલી તપાસ, પગલા અંગે આ સમિતિ વર્તમાન અધિકારીઓ પાસેથી રીપોર્ટ લેવાના છે. બાદમાં સંપૂર્ણ ખાતાકીય પ્રક્રિયા અંગેનો રીપોર્ટ કેવો સરકારને સોંપશે તેવું જાણવા મળ્યું છે.
Visit Saurashtra Kranti E-paper here