![ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ગાંધીનગર બોલાવીને રૂબરૂ સાંભળતા ભુપેન્દ્રભાઇ પટેલ : ન્યાય માટે ખાતરી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ગાંધીનગર બોલાવીને રૂબરૂ સાંભળતા ભુપેન્દ્રભાઇ પટેલ : ન્યાય માટે ખાતરી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત તા.25મેના રોજ લાગેલી આગની કરૂણ દુર્ઘટનામાં 27 માનવ જિંદગી સળગીને ભસ્મ થઇ જતા આ ઘટનાના ઘેરા પડઘા હજુ પડી રહ્યા છે. સતત તપાસ, પગલા અને હજુ ચાલતી કાર્યવાહી વચ્ચે પીડિત પરિવારોને હજુ ન્યાયની અનુભૂતિ થતી ન હોય, આજે શહેર ભાજપના નેતાઓ સાથે 27 પૈકી 24 પરિવારના 36 જેટલા સભ્યો મુખ્યમંત્રીના આમંત્રણથી ગાંધીનગર ખાતે રૂબરૂ ચર્ચા કરવા પહોંચ્યા હતા.
હતભાગી પરિવારના સભ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ રીતસર રડી પડયા હતા. ભારે હૈયે આ પરિવારોએ અત્યાર સુધી રચાયેલી તમામ તપાસ સમિતિના તારણ એક સરખા નીકળવા સામે સવાલો કરીને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગ મૂકી હતી.
![ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ગાંધીનગર બોલાવીને રૂબરૂ સાંભળતા ભુપેન્દ્રભાઇ પટેલ : ન્યાય માટે ખાતરી ટીઆરપી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
સરળ અને મૃદુ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેેલે પરિવારજનોને સાંભળ્યા હતા અને ન્યાય માટે સરકાર વતી ખાતરી આપી હતી. સાથે જ હજુ ગમે ત્યારે કોઇ પણ પ્રશ્ન કે રજૂઆત હોય તો ફરી તેમને મળવા આવવા પણ કહ્યું હતું. સરકાર આ પરિવારોના દુ:ખમાં ભાગીદાર હોવાની ખાતરી પણ આપી હતી.
આજે બપોરે લગભગ દોઢેક વાગ્યે ભાજપ આગેવાનો અને પીડિત પરિવારના સભ્યો મુખ્યમંત્રી કાર્યાલયમાં ભુપેન્દ્રભાઇને મળ્યા હતા અને એકાદ કલાકથી શાંતિથી વાત કરી હતી. જેમના સ્વજન આ કરૂણ બનાવમાં મૃત્યુ પામ્યા તે પરિવારના સભ્યો મુખ્યપ્રધાન સામે ભાંગી પડયા હતા અને તેમના આંસુ જોઇને ભુપેન્દ્રભાઇ તથા ભાજપના અન્ય આગેવાનો પણ શોકમાં ગરકાવ થઇ ગયા હતા.
![ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ગાંધીનગર બોલાવીને રૂબરૂ સાંભળતા ભુપેન્દ્રભાઇ પટેલ : ન્યાય માટે ખાતરી ટીઆરપી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આ પરિવારજનોએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં ચારેક તપાસ સમિતિ બની છે. તેના રીપોર્ટ એક સરખા હોવાનું તેઓને જાણવા મળે છે. તમામ જવાબદારોેને હજુ સુધી સજા થાય તેવી આશા દેખાતી નથી. અનેક પરિવારોનું જીવન નિર્વાહ ચલાવવાનો પ્રશ્ન આવી ગયો છે. આ ઘટના માટે તંત્રવાહકોની જવાબદારી નકકી કરવા પણ ખાસ સમિતિ બનાવવાની જરૂર છે.
![ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ગાંધીનગર બોલાવીને રૂબરૂ સાંભળતા ભુપેન્દ્રભાઇ પટેલ : ન્યાય માટે ખાતરી ટીઆરપી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આ કેસ જયારે કોર્ટમાં આવે ત્યારે રોજેરોજ ચાલે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તાબડતોબ ન્યાય મળે તેવી આશા આ પરિવારોએ દુ:ખ સાથે રજૂ કરી હતી. એકાદ કલાકની આ ચર્ચામાં પીડિત પરિવારના સભ્યોએ એવી માંગણી કરી હતી કે, આ કેસ માટે વધુ એક ખાસ સ્પેશ્યલ પી.પી.ની જરૂર છે. હાઇકોર્ટમાં તેમના વતી કેસ લડવા માટે ખાસ સરકારી વકીલ આપવા જોઇએ. ભાવુક થયેલા પરિવારજનોએ રોજીરોટીની વાત પણ આગળ ધરી હતી.
![ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ગાંધીનગર બોલાવીને રૂબરૂ સાંભળતા ભુપેન્દ્રભાઇ પટેલ : ન્યાય માટે ખાતરી ટીઆરપી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
મુખ્યપ્રધાને તમામ પરિવારોના દુ:ખમાં ભાગીદાર થતા કહ્યું હતું કે, સરકાર આ તમામ પરિવારની સાથે જ છે. ન્યાય માટે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. આવા પરિવારોના જીવનનિર્વાહ અંગે પણ સરકાર ચિંતિત છે. તેમને ન્યાય મળે અને જવાબદારોને સજા મળે તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે. હજુ તેઓને કોઇ પ્રશ્ર્ન હોય તો ગાંધીનગર આવીને તેમને ફરી મળી શકે છે.
![ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ગાંધીનગર બોલાવીને રૂબરૂ સાંભળતા ભુપેન્દ્રભાઇ પટેલ : ન્યાય માટે ખાતરી ટીઆરપી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
મંત્રી ભાનુબેન બાબરીયાએ મુખ્યમંત્રી પાસે સમય લીધો હતો. આ મુલાકાતમાં ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશ ટીલાળા, ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલીયા, માધવ દવે જોડાયા હતા.
Visit Saurashtra Kranti E-paper here