રૂપાણી સરકારે બજેટમાં શિક્ષણ માટે ૩૨૭૧૯ કરોડની ફાળવણી કરી

કોલેજના વિદ્યાર્થીઓને અપાશે ફ્રીમાં ટેબલેટ

બજેટમાં શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે કુલ ૩૨,૭૧૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ એ સતત વિકાસની પ્રક્રિયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ આગામી સમયની જરૂરિયાત ધ્યાને લઇ ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે. માતૃભાષામાં શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પદ્ધતિને પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્કૂલસ ઓફ એકસેલન્સ ગુજરાતના વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે.
બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદૃાન કરવા માટે ૩૪૦૦ શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ. ૧૨૦૭ કરોડનું આયોજન.

ધોરણ-૧ થી ૮ ના આશરે ૪૫ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ રૂ. ૧૦૪૪ કરોડની જોગવાઇ.

રાઇટ-ટુ-એજયુકેશન એક્ટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂ. ૫૬૭ કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રૂપે રાહત પૂરી પાડવા માટે રૂ. ૨૮૭ કરોડની જોગવાઈ.

૧૧ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે રૂ. ૨૦૫ કરોડની જોગવાઇ.

કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ.

હયાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળાઓ ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે માળખાગત સુવિધાઓ ઊભી કરવાની યોજના માટે રૂ. ૮૦ કરોડની જોગવાઇ.

રાજ્યની ૨૦૦૦ પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે રૂ. ૭૨ કરોડની જોગવાઇ.

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ઓગણીસ લાખ કરતાં વધુ વિધાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરાં પાડવા રૂ. ૬૫ કરોડની જોગવાઇ

જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી ૧ કીલોમીટર કરતાં વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા આપવા માટે રૂ. ૬૦ કરોડની જોગવાઇ

ઐતિહાસિક મહત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓનું મહત્ત્વ અનેરુ છે. આ શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઇ.

રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ
વિદ્યાર્થીઓમાં સુષુપ્તાવષ્થા રહેલ શોધ ભાવનાને પ્રોત્સાહન આપી અવનવા સર્જનથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ નીતિ અંતર્ગત અંદાજીત ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઇ.

આઈઆઈટી એન્જિનીયરીંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રાજયની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ઘોરણ-૧૧ અને ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઇન ડિસ્ટન્સ લર્નિગની સુવિધા પૂરી પાડવાની યોજના માટે રૂ. ૨૦ કરોડની જોગવાઇ.

અભિરૂચી ધરાવતાં બાળકોને સંસ્કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા અને શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવાના હેતુથી ૩૭ સંસ્કૃત પાઠશાળાઓના સુદ્દઢીકરણ માટે મિશન ગુરૂકુળ યોજના અંતર્ગત રૂ. ૧૦ કરોડની જોગવાઇ.