ખરાબ લાઈફસ્ટાઈલ અને શારીરિક પ્રવૃત્તિમાં અભાવના કારણે મોટાભાગના લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે, પણ લાઇફસ્ટાઇલમાં નાના ફેરફાર કરીને તમે ડાયાબિટીસના ખતરાથી બચી શકો છો.દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ડાયાબિટીસની બીમારીમાં શરીરમાં પર્યાપ્ત ઇન્સ્યુલિન નથી બની શકતું અથવા જેટલું ઇન્સ્યુલિન બને છે શરીર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, જેના કારણે લોહીમાં શુગરની માત્રા વધવા લાગે છે. હવે આ ડાયાબિટીસથી બચી પણ શકાય છે, પણ પ્રશ્ન એ છે કે કેવી રીતે?
આ જે ઇન્સ્યુલિન છે એ એક હોર્મોન છે જે ખોરાકમાંથી ખાંડને શરીરના કોષો સુધી પહોંચાડે છે. પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિનના ન બનવાના કારણે શુગર બ્લડમાં જ રહે છે જેના કારણે ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે. ખાસ કરીને ખરાબ લાઈફસ્ટાઈલ, ડાયટ અને શારીરિક પ્રવૃત્તિમાં અભાવના કારણે મોટાભાગના લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. એવામાં આજએ અમે તમને તેનાથી બચવાના કેટલાક ઉપાયો જણાવશું.
શુગરનું સેવન ઓછું કરો
ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર વસ્તુઓ લોહીમાં શુગરનું પ્રમાણ વધારે છે. તમે જ્યારે-જ્યારે ખાંડ અને તેનાથી બનેલી વસ્તુઓ ખાઓ છો તો તમારા લોહીમાં શુગરનું લેવલ વધી જાય છે. આ સ્થિતિ પાછળથી ડાયાબિટીસ થવાની શક્યતા વધારે છે. તમારે આ બીમારીથી બચવું હોય તો આજથી જ તમારા આહારમાં કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ખોરાક જેમ કે સફેદ બ્રેડ, બટાકા, રિફાઈન્ડ લોટ અને ખાંડથી બનેલા ખોરાકને મર્યાદિત કરો.
ફાઈબરયુક્ત ફ્રૂટ્સ ખાઓ
હાઈ ફાઇબર ફુડ સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે જે ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. ફાઇબર બે પ્રકારના હોય છે, એક સોલ્યૂબલ અને એક ઈનસોલ્યૂબલ. સોલ્યૂબલ ફાઈબર પાણીને શોષી લે છે અને તે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. સફરજન, કેળા, ઓટ્સ, વટાણા, બ્લેક બીન્સ, સ્પ્રાઉટ્સ અને એવોકાડો જેવા ખોરાકમાં સોલ્યૂબલ ફાયબર જોવા મળે છે.
એક્ટિવ રહો
નિયમિત વ્યાયામ કરવાથી અને શારીરિક રીતે સક્રિય રહેવાથી તમામ પ્રકારના રોગોને દૂર રહે છે. આ માટે તમારે વધારે કસરત કરવાની કે જિમ જવાની જરૂર નથી. તેના બદલે તમે સવાર-સાંજ ચાલીને અથવા ટ્રેડમિલ પર ચાલવાથી પોતાને ફિટ રાખી શકો છો. સાથે જ બીજું કશું ન કરવું હોય તો તમારા ઘરના કામો કરતા રહો.
સોફ્ટ ડ્રિંકને બદલે પાણી પીઓ
કોઈ પણ પીણું પાણીનો વિકલ્પ બની શકતું નથી. જ્યારે ડાયાબિટીસ અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવાની વાત આવે છે તો તમારે તમારા રોજિંદા જીવનમાં પાણીનું પ્રમાણ વધારવું પડશે. ઠંડા પીણાં અને અન્ય ખાંડયુક્ત પીણાથી દૂર રહો અને તેના બદલે પાણીનું સેવન વધારવું જોઈએ.
Visit Saurashtra Kranti E-paper here