રાત્રી ભોજનમાં ભાજપનાં તમામ ધારાસભ્યો અને સંગઠનનાં હોદ્દેદારોને નિમંત્રણ
ગાંધીનગર ખાતે આજે રાત્રે ભાજપ પ્રદેશ પ્રમુખનાં નિવાસ સ્થાને મનોમંથન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શરૂ કરેલી કવાયત રાજકીય નિરીક્ષકો સૂચક અને મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે. આજે મંગળવારે રાત્રે ગાંધીનગર ખાતે ભાજપનાં પ્રદેશ વડાનાં નિવાસી સ્થાને ખાસ રાત્રી ભોજન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીલની ‘ડીનર ડિપ્લોમસી’ને પગલે ગુજરાતનાં રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે અને જાતજાતની ચર્ચાઓ થતી સંભળાઈ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
ભાજપનાં તમામ ધારાસભ્યો તેમજ સંગઠનનાં ટોચનાં હોદ્દેદારોને પાટીલની ડીનર બેઠકમાં આવવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાજકીય રીતે આ બેઠકને ખૂબ જ સૂચક અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બેઠકનો કોઈ ચોક્કસ એજન્ડા સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. પણ ભાજપનાં આંતરિક સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ વિધાનસભાની ચૂંટણીઓ માટે નક્કર વ્યૂહરચના ઘડી કાઢવા રાત્રી ભોજ યોજાયો હોય તેવું લાગે છે. પાટીલ ગુજરાતનાં ગઢને જાળવી રાખવા માટે ખૂબ જ કટીબધ્ધ બન્યા છે એટલે તેઓ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને છઠ્ઠી વખત અને તે પણ અગાઉ કરતા પણ વધુ વિક્રમી વિજય મળે એ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને વિજયની ફોર્મ્યુલામાં કોઈ કચાસ રહી ન જાય તે જોવા માટે આતુર છે.
સી.આર.પાટીલ ભાજપનાં અત્યાર સુધીનાં સૌથી વધુ સક્રિય તેમજ પલકવારમાં આકરા પગલા લેવાની રાજકીય હિંમત ધરાવતા પ્રદેશ પ્રમુખો પૈકીનાં એક છે. એમણે નો-રીપીટ ફોર્મ્યુલાને મોટાભાગે સફળ કરી બતાવી છે તેનો પાટીલનાં હરીફો પણ ઇન્કાર કરી શકે તેમ નથી. આજ રાતની બેઠક એ રીતે રાજકીય નિરીક્ષકોનાં મતે ચૂંટણીઓનો સામનો કરવાના મહત્વનાં વ્યાયામ તરીકે ગણાવવામાં આવી રહી છે. સંગઠનને મજબુત કરવાના પ્રયાસો તો લાંબા સમયથી ચાલી જ રહ્યા છે. એટલે આજની બેઠકમાં ધારાસભ્યો અને સંગઠન હોદ્દેદારો પાસેથી લોકમિજાજ જાણવાનો પ્રયાસ કરવાનો પણ હેતુ છે. અલગ- અલગ મત વિસ્તારોની વર્તમાન પરિસ્થિતિ, લોકોનું ભાજપ પ્રત્યેનું વલણ અને વિચારો તથા પાયાનાં ગ્રાસરૂટ કાર્યકરો પાસેથી મળી રહેલા રાજકીય અને લોકલક્ષી ફીડબેકનાં લેખાજોખા કરવાનો પ્રદેશ વડા પ્રયાસ કરશે તેમ લાગે છે. પ્રદેશ પ્રમુખ પક્ષનાં ધારાસભ્યો અને સંગઠન હોદ્દેદારો પાસેથી મળેલી વિગતોનાં આઉટપુટને આધારે વિજયની ફોર્મ્યુલા તૈયાર કરી શકે છે.
Read About Weather here
ભાજપનાં પ્રદેશ પ્રમુખ લોકોનાં માનસને જાણવા માટે ખૂબ જ આતુર છે. સરકારો બદલાઈ અને ભાજપે ચાર વર્ષમાં મુખ્યમંત્રી બદલી નાખ્યા તેને લોકો કઈ રીતે મુલવે છે, નવી ભુપેન્દ્ર પટેલ સરકારની કામગીરીથી લોકો સંતુષ્ટ છે કે કેમ, ભાજપ સરકારની લોકરંજક યોજનાઓ અને બજેટની જોગવાઈઓનાં ફળ ધાર્યા મુજબ લોકો સુધી પહોંચ્યા છે કે કેમ, ધારાસભ્યોની કામગીરી વિશે લોકમત શું છે એવા વિભિન્ન પાસાઓ પર ભાજપનાં પ્રદેશ વડા આંખે દેખ્યો અહેવાલ મેળવવા માંગે છે એવું ભાજપનાં અંતરંગ સુત્રો જણાવે છે. ટૂંકમાં સી.આર.પાટીલની ‘ડીનર ડિપ્લોમસી’ એ સૂચવે છે કે, ગુજરાતમાં ભાજપે ચૂંટણી વહેલી જાહેર થાય કે નિર્ધારિત સમયે પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવાનું આયોજન યુધ્ધનાં ધોરણે આગળ વધારી દીધું છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here