ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ફેરફારો અને નિમણુંકો સામે હવે પક્ષની વિદ્યાર્થી સંગઠન પાંખમાં પણ ભારે નારાજગીનું વાતાવરણ ઉભું થયું છે. પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખની નિમણુંકથી ઠેરઠેર વિદ્યાર્થી નેતાઓમાં અસંતોષ ભડકી ઉઠ્યો છે. શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ પણ આ મુદ્દો હાથમાં લીધો છે. આગેવાનો એ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને ખાસ પત્ર પાઠવી સક્રિય યુવા વિદ્યાર્થી નેતાઓની જ એનએસયુઆઈમાં નિમણુંક કરવા અનુરોધ કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયા, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખો ડો.હેમાંગ વસાવડા અને ગાયત્રીબા વાઘેલા તેમજ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીઓ અશોક ડાંગર, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા તથા ભરત મકવાણા એ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને લેખિત રજૂઆત કરી છે. પત્રમાં દર્શાવ્યું છે કે, રાજકોટ શહેર- જિલ્લાના કોંગ્રેસના દરેક કાર્યક્રમોમાં હંમેશા સહભાગી રહેતા તથા વિદ્યાર્થીઓ- યુવાનોના પ્રશ્ર્નોને વાચા આપવા માટે સતત પ્રયત્નશીલ રહી કોંગ્રેસની વિચારધારાને લોકો સુધી પહોંચાડવામાં અને સંગઠન મજબુત કરવામાં એનએસયુઆઈનાં આગેવાનોનો સિંહફાળો રહ્યો છે. વિદ્યાર્થી પાંખમાં આવનારા સમયમાં થનારી હોદ્દાઓની નિમણુંકમાં સક્રિય યુવા વિદ્યાર્થી નેતાઓની મોકલાવેલી યાદી મુજબ નિમણુંક થાય તેની સંગઠનને ખાસ જરૂરિયાત છે. જો આવા નેતાઓની નિમણુંક થશે તો સંગઠનને ખૂબ જ ફાયદારૂપ નીવડશે.
દરમ્યાન રાજકોટ એનએસયુઆઈ પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે ટ્વીટ કરી તાજેતરની નિમણુંકો પ્રત્યે નારાજગી દર્શાવી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, ‘મહેનત કરવાવાળાની કદર કરજો. ગયા પછી બધા તેના વખાણ કરતા હોય છે, એ વખાણનો શું મતલબ જે ગયા પછી થાય. ખબર નથી આગળ હજુ શું સ્થિતિ આવશે’. આ ટ્વીટમાં તેમણે પ્રભારી રઘુ શર્મા, રામકિશન ઓઝા, નીરજ કુંદન, શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ટેગ કર્યા છે.
તાજેતરમાં પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકીની નિમણુંક બાદ વિદ્યાર્થી પાંખમાં ભારે રોષ જોવા મળ્યો છે અને અન્યાય થયાના સૂર ઉઠી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ એનએસયુઆઈના સક્રિય નેતાઓને યોગ્ય હોદ્દા ન મળતા ભારે નારાજગી જોવા મળી છે. સક્રિય નેતાઓને નિમણુંક આપવા રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસના નેતાઓએ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ નેતાગીરીને લેખિત ભલામણ કરી છે. છતાં સક્રિય યુવા નેતાઓને અન્યાય થયો હોવાથી ચૂંટણી પૂર્વે ભંગાણ સર્જાવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
Read About Weather here
કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર, લલિત કગથરા અને ઋત્વિજ મકવાણા એ ગત 11 જુલાઈનાં રોજ એક પત્ર લખી એનએસયુઆઈનાં રાષ્ટ્રીય પ્રમુખ નીરજ કુંદનને પણ ભલામણ કરી છે અને વિદ્યાર્થી પાંખ તેમજ યુવા કોંગ્રેસમાં સક્રિય નેતાઓને પ્રદેશ માળખામાં સમાવેશ કરવામાં આવે તેવી તેમણે રજૂઆત કરી હતી. યુવા નેતાઓને હજુ ન્યાય મળ્યો ન હોવાથી રોષ જાગ્યો છે અને આગામી દિવસોમાં જો ન્યાય ન મળે તો સૌરાષ્ટ્રમાંથી યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈનાં 400 હોદ્દેદારો સહિત 4 હજાર જેટલા કાર્યકરો કોંગ્રેસ છોડે તેવી શક્યતા આંતરિક વર્તુળો એ વ્યક્ત કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here