રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોરોનાનો હાહાકાર: સરકારે કોવિડ ટાસ્ક ફોર્સનાં સૂચનો માંગ્યા, એ મુજબ હવે રાજ્યભરમાં કોરોના પ્રોટોકોલનાં પાલન માટે કડક પગલા અને ખાસ ઝુંબેશ
આવનારા દિવસોમાં વધુ કડક નિયંત્રણો લાદવા ગંભીર વિચારણા: મુખ્યમંત્રીએ નિષ્ણાંત તબીબોનાં ગ્રુપ સાથે ખાસ બેઠક યોજી: આજે સાંજે 4 વાગ્યે કેબિનેટની બેઠકમાં નવી વ્યૂહરચના ઘડાશે
સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મહાનગરોમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે અને જાન્યુઆરી માસનાં 18 દિવસમાં સવા લાખ જેટલા કોરોના કેસો નોંધાતા સરકાર ચોંકી ઉઠી છે અને મહામારીને નિયંત્રણમાં લેવા તથા ટેસ્ટીંગ અને સારવાર ઝડપી બનાવવા સરકારી તંત્ર ઉંધે માથે થઇ ગયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોવિડ ટાસ્ક ફોર્સનાં તજજ્ઞો, તબીબો, મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચ કક્ષાએ બેઠકો યોજી હતી. જેમાં કોરોના નિયંત્રણ લેવાના ઉપાયો અને સારવાર અંગે સરકારે નિષ્ણાંતોનાં સૂચન માંગ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
ગઈકાલે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કોરોના કેસોએ આકાશી છલાંગ લગાવી હતી અને વિક્રમ સર્જક કેસો નોંધાયા હતા. એટલે ચોંકી ઉઠેલી સરકારે કોરોના ગાઈડલાઈન્સમાં ફેરફારની ચર્ચા શરૂ કરી છે. હવેથી રાજ્યભરમાં માસ્ક, સામાજીક અંતર અને સેનિટાઈઝેશનનાં નિયમોનું સખ્તાઈથી પાલન કરાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ત્રીજાવેવને કોઈપણ ભોગે કાબુમાં લેવા માટે સરકારીતંત્રની તમામ તાકાત કામે લગાડી રહ્યા છે. લોકોને નિયમો માટે જાગૃત કરવા દરેક સ્તરે ઝુંબેશ ચલાવવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે.
ગાંધીનગર ખાતે યોજાયેલી કોવિડ ટાસ્ક ફોર્સ સાથેની બેઠકમાં આગામી દિવસોની સંભવિત પરિસ્થિતિ, તંત્રની સજ્જતા અને જનજાગૃતિ માટે રણનીતિ ઘડવા ઊંડી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં હાજર તજજ્ઞ, તબીબોએ સૂચનો કર્યા હતા કે સંક્રમણ વધી ન જાય એ માટે માસ્ક, સામાજીક અંતર, વારંવાર હાથ ધોવા, ભીડભાડ ટાળવી વગેરે નિયમો માટે ઝુંબેશ ચલાવવાની ખાસ જરૂર છે.
તબીબોએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે, અત્યારે સંક્રમણની જે સ્થિતિ છે. તેની ગંભીરતા લોકો સુધી પહોંચે અને જનતા સ્વયંભુ નિયમોનું પાલન કરતી થાય એ માટે વ્યાપક પ્રમાણમાં પ્રચાર-પ્રસારની વ્યવસ્થા સરકારે ગોઠવવી જોઈએ.
મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર જનજાગૃતિ માટેના આવશ્યક તમામ પગલા લેશે. કોરોનાની અગાઉની બે લહેરનાં અનુભવોનાં આધારે રાજ્યમાં આગામી દિવસોમાં આરોગ્ય સેવાઓનું માળખું વધુ સંગઠિત કરવામાં આવશે. એટલું જ નહીં બાકી રહેલા લોકોનું ઝડપથી વેક્સિનેશન થઇ જાય એવું આયોજન કરવામાં આવશે. એ માટે પ્રચાર કરવામાં તબીબો પણ સહયોગ આપે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
Read About Weather here
મુખ્યમંત્રીએ બેઠકમાં જે સૂચનો થયા તેના આધારે સારવાર, ટ્રીટમેન્ટ, પ્રોટોકોલ, ટેસ્ટીંગ અને ટ્રેકિંગ વધારી દેવા તંત્રને સુચના આપી છે.આ બેઠકમાં રાજ્યનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાનાં મંત્રી નિમિષાબેન, ટાસ્ક ફોર્સનાં ડો.વી.એન.શાહ, ડો.સુધીરભાઈ શાહ, ડો.આર.કે.પટેલ, ડો.અમીબેન પરીખ, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્ર સચિવ કૈલાશ નાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here