આતંકીઓની હવે ખેર નહીં ! બસ પર હુમલો કરનાર આતંકીઓ હવે થશે સફાયો CRPFની 11 ટીમો જંગલને ઘેરી વળી, ડ્રોન અને કમાન્ડો પણ તૈનાત

આતંકીઓની હવે ખેર નહીં ! બસ પર હુમલો કરનાર આતંકીઓ હવે થશે સફાયો
આતંકીઓની હવે ખેર નહીં ! બસ પર હુમલો કરનાર આતંકીઓ હવે થશે સફાયો

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકી હુમલા બાદ સેના અને CRPFના જવાનો વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ઘટનાને અંજામ આપીને આતંકીઓ જંગલ તરફ ભાગ્યા હતા. હુમલામાં 9 લોકોના મોત થયા અને 41 લોકો ઘાયલ થઈ ગયા છે. આ હુમલો ત્યારે થયો જયારે યાત્રાળુઓથી ભરેલી એક બસ શિવખોડી મંદિરથી વૈષ્ણો દેવી મંદિરના બેસ કેમ્પ પરત ફરી રહી હતી.

જમ્મુ-કાશ્મીરમાં તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદી હુમલાને અંજામ આપનાર આતંકીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરાયા છે. સેના અને સીઆરપીએફની 11 ટીમો ઉપરી પહાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓને ખતમ કરવા માટે મિશન મોડમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હુમલા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગ્યા હતા. આવી સ્થિતિમાં રિયાસીના જંગલોને ઘેરી લેવામાં આવ્યા છે. કમાન્ડો અને ડ્રોન પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે.

રવિવારે જમ્મુ-કાશ્મીરમાં તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 9 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં લગભગ 41 લોકો ઘાયલ થયા છે. આ હુમલો જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં થયો હતો. તીર્થયાત્રીઓની બસ શિવખોડી મંદિરથી માતા વૈષ્ણો દેવી મંદિરના બેઝ કેમ્પ કટરા તરફ પરત ફરી રહી હતી. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ બસ પર હુમલો કર્યો. આતંકવાદીઓએ પહેલા બસના ડ્રાઈવરને ગોળી મારી, જેના કારણે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને બસ ખીણમાં પડી. જે બાદ લાંબા સમય સુધી ગોળીબાર કર્યો. હુમલામાં બસના ડ્રાઈવર અને કંડક્ટર બંનેના મોત થઈ ગયા. હુમલામાં કોઈક રીતે બચી ગયેલા મુસાફરોએ જણાવ્યું કે બસ ખીણમાં પડી ગયા પછી પણ આતંકવાદીઓએ ગોળીબાર ચાલુ રાખ્યો હતો. આ બસ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીથી શ્રદ્ધાળુઓને લઈ જઈ રહી હતી.

NIAને હુમલાની તપાસ સોંપવામાં આવી

પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે. TRF ને વર્ષ 2023 માં ભારત સરકાર દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. કલમ 370 હટાવ્યા બાદ વર્ષ 2019માં તેની રચના કરવામાં આવી હતી. તે અનેક આતંકી હુમલાઓમાં સામેલ રહ્યું છે. માહિતી અનુસાર, આ હુમલામાં 2 થી 3 આતંકીઓ સામેલ હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાની છે અને તે જ જૂથનો ભાગ છે જે રાજૌરી અને પૂંછમાં તાજેતરમાં થયેલા હુમલામાં સામેલ હતા. આ ગ્રૂપ છેલ્લા બે વર્ષથી પીર-પંજાલ વિસ્તારમાં સક્રિય છે. આ આતંકીઓને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓને શોધવા માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે. આ હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી છે.

આતંકીઓ જંગલોમાં છુપાયેલા છે

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર હુમલો કરનાર આતંકવાદીઓ જંગલમાં છુપાયેલા છે. સુરક્ષા દળોને શંકા છે કે આતંકવાદીઓ રાજૌરી અને રિયાસીના પહાડી વિસ્તારોમાં છુપાયેલા છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે હુમલા માટે જવાબદાર લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓની વ્યાપક શોધ કરવામાં આવી રહી છે. તેમણે ઘટનાસ્થળે ચોથા આતંકવાદીની હાજરીની શક્યતાને નકારી કાઢી નથી.

સર્ચ ઓપરેશન સઘન કરાયું

ઉધમપુર-રિયાસી રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસે જણાવ્યું હતું કે, અમને કેટલીક કડીઓ મળી છે. પોલીસ, સેના અને સીઆરપીએફની 11 ટીમો સર્ચ ઓપરેશનમાં લાગેલી છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે અલગ-અલગ મોરચે સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ, આર્મી, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ કોમ્બિંગ ઓપરેશનમાં સામેલ છે. અનેક લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા ડીઆઈજીએ કહ્યું કે, અમારી કાર્યવાહી ચાલુ છે. અમે અલગ-અલગ ઇનપુટ્સના આધારે કામ કરી રહ્યા છીએ. બે અલગ-અલગ મોરચે કામ કરવા માટે અનેક ટીમો બનાવવામાં આવી છે. જ્યારે તપાસ પણ તેજ ગતિએ ચાલી રહી છે. પૂછપરછ માટે કેટલાંક લોકોની અટકાયત કરવામાં આવી હોવાના સવાલ પર, તેમણે કહ્યું કે, આ મામલે કંઈપણ કહેવું વહેલું છે પરંતુ અમને કેટલાક સંકેતો મળ્યા છે અને અમે આતંકવાદીઓને શોધી કાઢવા માટે કડીઓ એકત્રિત કરી રહ્યા

ગાઢ જંગલને કારણે કામગીરીમાં મુશ્કેલી વધી

તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં ગાઢ જંગલો છે, પાણીના સ્ત્રોતની અછત છે. જંગલમાં આગ લાગવાનો પણ ભય છે. ત્યાં ઢોળાવવાળી અને કુદરતી છુપાવાની જગ્યાઓ છે. સર્ચ ઓપરેશનમાં સુરક્ષા દળો માટે આ એક મોટો પડકાર છે. સર્ચ ટીમ સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. સેના અને સીઆરપીએફના સંકલનમાં 11 ટીમો તૈનાત કરવામાં આવી છે. આતંકવાદીઓને ઠાર કરવા માટે સંયુક્ત પ્રયાસો ચાલુ છે.

જમ્મુમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

પ્રશાસને મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની મંજૂરી આપી છે. કટરા, ડોડા શહેર અને કઠુઆ જિલ્લા સહિત જમ્મુ ક્ષેત્રમાં પાકિસ્તાન વિરોધી વિરોધ પ્રદર્શનો થયા, આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષા પગલાં વધારવાની માંગણી કરી. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રાયોજિત કરવાનો આરોપ લગાવ્યો અને પાડોશી દેશ સામે કાર્યવાહીની માંગ કરી.