ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર બદ્રીનાથ હાઈવે પર રૂદ્રપ્રયાગ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રસ્તાની બાજુમાં આવેલ અલકનંદા નદીમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણા લોકો ટેમ્પોમાં ફસાયા હતા. રેસ્ક્યુ ટીમે તેને મુશ્કેલીથી બહાર કાઢ્યા હતા.
આ અકસ્માતમાં 12 લોકોના કરૂણ મોત થયા છે જ્યારે 8 ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી મળી છે. આ દુર્ઘટના સમયે ટ્રાવેલરમાં લગભગ 23 લોકો હતા. આ વાહન નોઈડાથી મુસાફરો સાથે રવાના થયું હતું. તમામ મુસાફરો શ્રીનગર તરફથી બદ્રીનાથ હાઈવે પર જઈ રહ્યા હતા. આ દરમિયાન રૂદ્રપ્રયાગ પાસે આ વાહન અલકનંદા નદીમાં ખાબક્યું હતું.
દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પ્રશાસનની બચાવ ટીમ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે લોકોના મૃતદેહો અંદર ફસાઈ ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ ભયાનક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને લઈ જવા માટે એમ્બ્યુલન્સ તૈનાત છે. સીએમ ધામીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.ટ્રાવેલરની અંદરથી 8 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Visit Saurashtra Kranti E-paper here