વર્ષ ૨૦૨૦ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ૨૨૫ ત્રાસવાદી ઠાર મરાયા હોવા સાથે ઘૂસણખોરી, નાગરિકોની હત્યા અને ત્રાસવાદી હુમલામાં ઘટાડો નોંધાયો હતો.
પોલીસના ડિરેક્ટર જનરલ દિલબાગિંસહે જણાવ્યું હતું કે સુરક્ષાદળોએ ૧૦૦થી વધુ સફળ ત્રાસવાદી વિરોધી અભિયાનમાં ૨૨૫ ત્રાસવાદીને ઠાર માર્યા હતા.
વાર્ષિક પત્રકાર પરિષદને સંબોધતા સિંહે જણાવ્યું હતું કે અમે ૯૦ ત્રાસવાદ વિરોધી અભિયાન કાશ્મીરમાં અને ૧૩ જમ્મુમાં સફળતાપૂર્વક પાર પાડયા હતા. ઠાર મરાયેલા ૨૨૫ ત્રાસવાદૃીમાંથી કાશ્મીરમાં ૨૦૭ અને જમ્મુમાં ૧૮ ત્રાસવાદી ઠાર મરાયા હતા.
ઠાર મરાયેલા ત્રાસવાદીઓમાં વિવિધ ત્રાસવાદી જૂથોના ૪૭ ટોપ કમાન્ડર હતાં. આજની તારીખે વિવિધ ત્રાસવાદી જૂથોના લગભગ બધા જ ટોપ કમાન્ડરો ઠાર મરાયેલા છે. વર્ષ દરમિયાન ત્રાસવાદીઓ સામે લડતા જમ્મુ-કાશ્મીર પોલીસના ૧૬ જવાન (૧૫ કાશ્મીરમાં અને એક જમ્મુમાં), ૪૪ સુરક્ષાદળના જવાન (૪૨ કાશ્મીરમાં અને બે જમ્મુમાં) શહીદ થયા હતા.
પોલીસ અને સુરક્ષાદળે મળીને ગ્રેનેડ ફેંકીને ભાગી જતા કે ત્રાસવાદીઓ માટે સંદેશા કે હથિયાર વગેરે લાવવાલઇ જવાનું કામ કરતા ૬૩૫ મળતિયાની ધરપકડ કરી હતી અને એમાંથી ૫૬ જણ સામે પબ્લિક સૅટિ ઍક્ટ હેઠળ કેસ દાખલ કરાયા હતા. આ સાથે ૨૯૯ ત્રાસવાદી અને એમના મળતિયાની ધરપકડ કરાઇ હતી તથા ૧૨ ત્રાસવાદીએ આત્મસમર્પણ કર્યું હતું.
ત્રાસવાદ વિરોધી અભિયાનો દરમિયાન ૪૨૬ હથિયાર, ૯૦૦૦થી વધુ ગોળીઓ અને મેગેઝીન્સ તથા મોટા પ્રમાણમાં વિસ્ફોટકો પકડાયા હતા.
ત્રાસવાદ વિરોધી અભિયાન દરમિયાન ગયા વર્ષ ૪૪ નાગરિકના મોત થયા હતા, પણ આ વર્ષે એમાં ઘટાડો થયો હતો અને ફક્ત ૩૮ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા.