યુએઇ સરકાર કેટલાક વિદેશી નાગરિકોને નાગરિકતા આપશે

એક અસામાન્ય નિર્ણય હેઠળ યુનાઇટેડ આરબ અમિરાતએ કેટલાક વિદેશીઓને દેશની નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશનો આર્થિક વિકાસ ઝડપથી વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દુબઇ અને અબુ ધાબીમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. આ અગાઉ ૧૯૭૧માં સરકારની રચના કરવામાં મદદ કરનારા કેટલાક પેલેસ્ટાઇનોને યુએઇની નાગરિકતા આપી હતી. અન્ય કેટલાક લોકોને પણ તે સમયે નાગરિકતા આપવામાં આવી હતી.

દુબઇના શાસક અને યુએઇના વડાપ્રધાન શેખ મોહંમદબિન રાશીદ અલ મકતૂમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રોકાણકારો, વિશેષ ટેલેન્ટ ધરાવતા લોકો અને વૈજ્ઞાનિકો, ડોક્ટરો, એન્જિનિયર, આર્ટિસ્ટ, લેખકો અને તેમના પરિવારજનોને દેશની નાગરિકતા આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ માટે ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવશે.

યુએઇનું પાસપોર્ટ મળી ગયા પછી પણ વિદેશી નાગરિકો પોતાના દેશની નાગરિકતા ચાલુ રાખી શકશે. ઉલ્લેખનીય છે કે યુએઇની કુલ વસ્તી ૯૦ લાખ છે. જે પૈકી ફક્ત ૯ લાખ જ તે દેશના નાગરિકો છે. બાકીના લોકો વિદેશથી આવીને વસેલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અર્થતંત્રને વેગ આપવા માટે મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે.