મનોજ વાજપેયી જેવા ઉમદા કલાકારોની ફિલ્મો ફિલ્મ ફેસ્ટીવલ કે અન્યત્ર વખણાય બહુ છે પરંતુ તેની કોઈ ખાસ ક્મર્શિયલ વેલ્યૂ હોતી નથી. મનોજ વાજપેયીને લઈ એકથી વધુ ફિલ્મો બનાવી ચૂકેલા સર્જક દેવાશીષ મખીજાએ પોતે આર્થિક રીતે કંગાળ થઈ ચૂક્યો હોવાનું જણાવ્યું છે.
મખીજાની ‘જોરામ’ની ફિલ્મ ક્રિટિક્સ દ્વારા બહુ પ્રશંસા થઈ હતી અને તેને કેટલાક ફિલ્મ ફેસ્ટીવલોમાં સન્માન પણ મળ્યું હતું. પરંતુ આ ફિલ્મમાં કોઈ આર્થિક વળતર છૂટયું નથી. આ ફિલ્મ થિયેટરોમાં પણ ચાલી નથી કે કોઈ ઓટીટી પ્લેટફોર્મ પણ તેના યોગ્ય દામ ચૂકવવા તૈયાર નથી.
આ જ હાલત મનોજ વાજપેયીને લઈને અગાઉ બનાવેલી ‘ભોંસલે’ ફિલ્મમાં પણ થઈ હતી.
મખીજાના જણાવ્યા અનુસાર તે કેટલાય મહિનાઓથી પોતાના ઘરનું ભાડું ભરી શક્યો નથી અને તેણે મકાન માલિકને પોતાને બહાર નહીં કાઢી મૂકવા માટે આજીજીઓ કરવી પડે છે. ૪૦ વર્ષીય મખીજાના જણાવ્યા અનુસાર પોતે એક સાઈકલ ખરીદી શકે તેવી પણ ત્રેવડ રહી નથી.
તેણે કહ્યું હતું કે ફિલ્મના કમર્શિયલ પાસાંને બદલે માત્ર કળાત્કમક બાબતને ધ્યાને રાખવા જતાં પોતાને બહુ સહન કરવું પડયું છે. બધા ફિલ્મને વખાણે છે. એક્ટર અને ડાયરેક્ટરની પ્રશંસા કરે છે પરંતુ આવી ફિલ્મોને આર્થિક રીતે ટેકો મળી રહે તેવું કશું થતું નથી.