કોણ છે એ ગુજરાતી, જેમને મળ્યુ છે પદ્મ એવોર્ડનું સન્માન ?

કોણ છે એ ગુજરાતી, જેમને મળ્યુ છે પદ્મ એવોર્ડનું સન્માન ?
કોણ છે એ ગુજરાતી, જેમને મળ્યુ છે પદ્મ એવોર્ડનું સન્માન ?

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ દેશની 132 વિભૂતિઓને પદ્મભૂષણ, અને પદ્મવિભૂષણ અને પદ્મશ્રી એવોર્ડથી એનાયત કરાયા છે. દેશના 132 એવોર્ડમાંથી 5ને પદ્મવિભૂષણ, 17ને પદ્મભૂષણ અને 110 વિભૂતિઓને પદ્મશ્રી એવોર્ડ અપાયા. છે. જેમાં ગુજરાતના 6 દિગ્ગજોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સૌથી પહેલા પદ્મવિભૂષણ એવોર્ડની વાત કરીએ તો એકમાત્ર ગુજરાતી તેજસ મધુસૂદન પટેલને તબીબી ક્ષેત્રે પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે. તો સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રઘુવીર ચૌધરી અને હરિશ નાયકને, તબીબી ક્ષેત્રે ડૉ. યઝદી માણેકશા ઇટાલિયા અને દયાળ માવજી પરમારને, કળા ક્ષેત્રે ડૉ. જગદીશ લાભશંકર ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. આ તમામ વિભૂતિઓને તેમના કાર્ય બદલ સન્માનિત કરાયા છે.

પદ્મભૂષણ ડો. તેજસ મધુસૂદન પટેલ (મેડીસીન): પદ્મભૂષણ તેઓ ગુજરાત સહિત ભારતના જાણીતા કાર્ડિઓલોજીસ્ટ છે. તેમણે અનેક રાજકીય અને સામાજીક અગ્રણીઓની હૃદયરોગની સારવાર કરી છે. કોરોનાકાળ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા રચાયેલી નિષ્ણાંત લોકોની સમિતિમાં તેઓ સામેલ હતા.

પદ્મશ્રી રઘુવીર ચૌધરી (સાહિત્ય અને શિક્ષણ): આ લેખક નવલકથાકાર, કવિ અને વિવેચક તરીકે સવિશેષ પ્રતિષ્ઠિત છે. તેમણે સંદેશ, જન્મભૂમિ, નિરીક્ષક અને દિવ્ય ભાસ્કર જેવા અસંખ્ય અખબારો માટે કટારલેખક તરીકે પણ કામ કર્યું છે. તેઓ 1998માં તેમની નિવૃત્તિ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષક હતા.

પદ્મશ્રી યઝદી ઇટાલિયા (મેડીસિન): સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં યોગદાન આપવા બદલ ડૉ. યઝદી ઇટાલિયાને પદ્મશ્રી અવોર્ડ મળ્યો છે. તેમણે ઇન્ડો-યુએસ એનબીએસ પ્રોજેક્ટ હેઠળ ઘણા ICMR સંશોધન પ્રોજેક્ટમાં કામ કર્યું છે.

પદ્મશ્રી હરીશ નાયક (સાહિત્ય અને શિક્ષણ) (મરણોપરાંત): હરીશ નાયક બાળ સામયિક ઝગમગના તંત્રી હતાં. 1952થી શરુઆત કરીને અત્યાર સુધીમાં તેઓએ 2000થી પણ વધારે વાર્તાઓ લખેલ છે. તેમનાં જાણીતાં પુસ્તકોમાં કચ્ચુ-બચ્ચુ, બુદ્ધિ કોના બાપની અને ટાઢનું ઝાડનો સમાવેશ થાય છે. તમેને નેશનલ કોન્ફરન્સ ઓન ચાઈલ્ડ એજ્યુકેશન, દિલ્હી દ્વારા 40 વર્ષથી વધુ લેખન સાતત્ય, 25 વર્ષથી વધુ વાર્તાકથન સાતત્ય બાદ લોન્ગ એન્ડ્યુરન્સ એવોર્ડ પણ એનાયત થયેલો છે.

પદ્મશ્રી દયાળ પરમાર (મેડીસિન) : તેઓ એક મહાન ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, શિક્ષક, શોધકર્તા, લેખક, સંપાદક, અનુવાદક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ જેવી બહુઆયામી ભૂમિકા સફળતાપૂર્વક ભજવી વિરલ વિભૂતી તરીકે ઉભરી આવ્યા છે. તેમણે આયુર્વેદ સાહિત્ય ઉપર વ્યાખ્યાપ ચરક, સુશ્રૃત, માધવ નિદાન પર ૧૮ પુસ્તકો તૈયાર કર્યા છે. જે બીએએમએસના વિદ્યાર્થીઓને ટેકસબુક અને સંદર્ભ પુસ્તિકા તરીકે ઉપયોગી થઇ રહી છે. આયુર્વેદ પર સંશોધનપત્રો અને લેખો તૈયાર કર્યા છે.

પદ્મશ્રી ડો.જગદીશ ત્રિવેદી (આર્ટ): ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તેમણે તેમના અનેકવિધ શો દ્વારા પ્રાપ્ત આવકથી કરોડો રૂપિયા દાનમાં આપ્યા છે. ખુદ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં તેમના મન કી બાત કાર્યક્રમમાં તેમનો ઉલ્લેખ કરીને તેમના સામાજિક કાર્યોની પ્રશંસા કરી હતી.