નાણાંકીય વર્ષના અંતિમ દિવસે બેંકો, સરકારી કચેરીઓમાં મોડે સુધી કામગીરીનો ધમધમાટ.
જામનગરમાં નાણાંકીય વર્ષના અંતિમ દિવસે બેંકો, સરકારી કચેરીઓ મોડે સુધી કાર્યરત રહી હતી. રવિવારે રજાના દિવસમાં મહાનગરપાલિકામાં મિલકત વેરો ભરવા લોકોની કતાર લાગી હતી.
જામનગરમાં વર્ષ 2023-24ના નાણાંકીય વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 માર્ચના સરકારી અને ખાનગી બેંકો, કચરીઓ, ફાયનાન્સ પેઢીઓમાં મોડી રાત્રી સુધી કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો.
નાણાંકીય વર્ષ પૂર્ણ થતું હોય હિસાબોની પતાવટ માટે બેંકો, કચેરીઓમાં મોડે સુધી કર્મચારીઓએ ફરજ બજાવી હતી. અમુક બેંકો અને કચેરીઓ તો રાત્રીના બે વાગ્યાથી વધુ સમય સુધી કાર્યરત રહી હતી. રવિવારે રજા હોવા છતાં પણ બેંકો અને કચેરીઓમાં કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો. ખાસ કરીને જામનગર મહાનગરપાલિકા દ્રારા રવિવારે રજા હોય પરંતુ નાણાંકીય વર્ષનો અંતિમ દિવસ હોય વેરો સ્વીકારવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. આથી અંતિમ દિવસે રવિવારે રજામાં પણ વેરો ભરવા લોકોની કતાર જોવા મળી હતી.