સુરતના કામરેજમાં માનવ સેવા ટ્રસ્ટમાં એકસાથે ૮૦ લોકો કોરોના સંક્રમિત થતા ખળભળાટ

જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. કામરેજ નજીક ધોરણ-પારડી પાસે આવેલા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ૮૦ લોકો કોરનાથી સંક્રમિત થયા છે. એકસાથે ૮૦ લોકો કોરોનાની ચપેટમાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. જોકે આશ્ર્ચર્યની વાત તો એ છે કે આરોગ્ય વિભાગના ચોપડે માત્ર ૨૨ કેસ જ નોંધાયા છે.

૮૦ પૈકીના ૨૦ લોકોને સુરત સિવીલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય ૬૦ લોકોને ચેરિટેબલ ટ્રસ્ટના મકાનમાં આઈસોલેટ કરાયા છે. માનવ ચેરિટેબલ ટ્રસ્ટમાં ૨૨૭થી વધુ આશ્રિતો આશરો લઈ રહૃાા છે. શુક્રવાર અને શનિવારના આશ્રિતોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા. રેપિડ ટેસ્ટમાં બે દિવસમાં ૮૦ લોકો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં સુરત કોર્પોરેશનમાં ૧૬૮ અને સુરતમાં ૫૯ મળી કુલ ૨૨૭ કેસ નોંધાયા હતા. સુરત કોર્પોરેશનમાં ૧૬૯ અને સુરતમાં ૭૪ મળી કુલ ૨૪૩ લોકોએ કોરોનાને હરાવ્યો હતો. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૭૨,૯૪૪ પર પહોંચી છે અને કુલ મૃત્યુઆંક ૩૭૧૯ પર પહોંચ્યો છે.