ભારતીય ન્યાય સંહિતામાં ધારા 420 બદલાઈ : કાયદાની પરિભાષા બદલતી સંસદ

ભારતીય ન્યાય સંહિતામાં ધારા 420 બદલાઈ : કાયદાની પરિભાષા બદલતી સંસદ
ભારતીય ન્યાય સંહિતામાં ધારા 420 બદલાઈ : કાયદાની પરિભાષા બદલતી સંસદ

આઝાદીના 75 વર્ષ બાદ ખરા અર્થમાં આઝાદ થઇ અમૃત કાળનો અમલ થયો હોય તેમ અંગેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાને સમય પ્રમાણે કાયદામાં ભાજપ સરકાર દ્વારા આમુલ પરિવર્તન કર્યુ છે. 1860ના કાયદામાં ધડમુળથી ફેરફાર કરી આઇપીસી, સીઆરપીસી અને એવીડન્સ એકટની જગ્યાએ ભારતીય ન્યાય સહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય સાક્ષ્ય સહિત અમલમાં લાવવામાં આવી છે. જેના કારણે કાયદો દંડ અને સજા માટે નહી, કાયદો ન્યાય માટે બની રહેશે. ભારતીય દંડ સહિતામાં અત્યાર સુધીમાં 511 કલમ હતી જેમાં બીન જરુરી કલમ રદ કરી હવે 356 કલમ જ રહી છે. સીઆરપીસીમાં 533 કલમ છે. તેમાં 160માં સમયની માગ મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે.

બ્રીટીશ સરકારે પોતાની સતા ટકાવી રાખવા અને આંદોલનકારોને કચડી નાખવા માટે આઇપીસીની કલમ 124(એ) જોગવાયમાં ધડમુળથી ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્ર દ્રોહની જગ્યાએ દેશ દ્રોહની કલમ 150 અસ્તીત્વમાં આવશે જેમાં લોકશાહી મુજબ દરેકને વાણી સ્વતંત્રતા આપવામાં આવી છે. પરંતુ સરકાર સામે કોઇ પણ જાતનો વિરોધ કે વાણી સ્વતંત્રામાં સમાવેશ નહી થાય કોઇ દેખાવકાર કે તોફાની ટોળા દ્વારા સરકારી મિલકતને નુકસાન કરવામાં આવશે ત્યારે નુકસાનીની રકમ તેની પાસેથી વસુલ કરવામાં આવશે.

આંતકવાદી હુમલાના ગુનાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. ફરિયાદી તથા સાહેદના મેજીસ્ટ્રેટ દ્વારા ઘરે જઇને જુબાની લેવી, ફરિયાદી અને સાહેદને પુરતુ રક્ષણ મળી રહેત તે બાબતની વિશેષ જોગવાય કરી છે. જેમાં અત્યાર સુધી આવા કેસના ફરિયાદી અને સાહેદને ડીજીપી કક્ષાના અધિકારી દ્વારા પ્રોટેકશન આપવામાં આવતું હતું. જે હવે એસપી કક્ષાના અધિકારી દ્વારા પોટેકશન આપી શકવાની જોગવાય કરવામાં આવી છે.

* સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનારા નરાધમોને મૃત્યુદંડ

નવા બિલમાં જે રીતે સુધારો કરવામાં આવ્યો છે તે મુજબ હવે કોઈ પણ સગીરા પર સામુહિક દુષ્કર્મના બનાવને ક્રૂરતાપૂર્વકનું કૃત્ય ગણી હવે નરાધમોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવનાર છે. ઉપરાંત નવા સુધારા હેઠળ સગીર સાથે દુષ્કર્મના કેસમાં હેવાનોને 20 વર્ષ સુધીની સજા એટલે કે આજીવન કેદને સમાંતર સજા ફટકારવામાં આવનાર છે. નવા સુધારામાં સગીરાઓની સતામણીને અટકાવવા પર ખુબ જ ભાર મુકવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યું છે. કોઈ પણ મહીલા પર સામુહિક દુષ્કર્મના ગુન્હામાં 20 વર્ષ કે તેથી વધુની સજા ફટકારવામાં આવનાર છે.

* લગ્ન સહીતની કોઈ પણ લોભ કે લાલચ આપી બાંધવામાં આવેલો શારીરિક સંબંધ ગુન્હો ગણાશે

નવા સુધારા હેઠળ કોઈ પણ મહિલાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધવો હવે ગુન્હો ગણવામાં આવશે. ઉપરાંત ફકત લગ્ન જ નહીં પરંતુ નોકરી- બઢતી જેવી લાલચ આપીને પણ શારીરિક સંબંધ બાંધવો તે પણ હવે ગુન્હો જ ગણવામાં આવશે જે બદલ 10 વર્ષ સુધીની જેલની સજા ફટકારવામાં આવનાર છે. જો કે, મહત્વપૂર્ણ બાબત છે કે, આ સંબંધો લાલચ આપીને બાંધવામાં આવતા હોય છે જેથી આ કૃત્યને દુષ્કર્મ ગણવામાં આવશે નહીં.

* પુખ્તવ્યની પત્ની સાથે બાંધેલો શારીરિક સંબંધ દુષ્કર્મ નહીં પણ પત્ની જીવન-મરણ વચ્ચે જોલા ખાય તો આજીવન કેદથી મૃત્યુદંડની સજા

હાલ સુધી પત્ની સાથે બાંધવામાં આવેલો શારીરિક સંબંધ ગુન્હો ગણાય કે કેમ? તે અંગે અવઢવ હતી પણ નવા સુધારા હેઠળ 18 વર્ષથી ઉપરની વયની એટલે કે પુખ્તવયની પત્ની સાથે બાંધવામાં આવેલો સંબંધ દુષ્કર્મ નહીં ગણાય. જો કે, આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પત્નીનું મોત નીપજે અથવા તો પત્ની જીવન-મરણ હેઠળ જોલા ખાય તો આજીવન કેદથી માંડી મૃત્યુદંડ સુધીની સજા ફટકારવામાં આવશે.

* દરેકને વાણી સ્વતંત્રતા પરંતુ સરકાર સામેનો આડેધડ વાણી વિલાસ સજાને પાત્ર

ભારતના બંધારણ હેઠળ દરેક ભારતીય નાગરિકને વાણી સહીતની સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ નવા સુધારા હેઠળ હવે સરકાર સામેના આડેધડ વાણી વિલાસને સજાપાત્ર ગણવામાં આવનાર છે. હાલ અદાલતોમાં વાણી સ્વતંત્રતા અંગેના હજારો કેસો પેન્ડિંગ છે પરંતુ ચોક્કસ કાયદાના અભાવે આ કેસોમાં કોઈ નિર્ણય લઇ શકાતો નથી ત્યારે હવે આ બધા કેસો માટે લેન્ડમાર્ક સમાન કાયદો ઘડી કાઢવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ હવે ફાયદાની સાથે ક્યાંક જોખમ પણ ઉભું થાય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. સરકાર વિરુદ્ધ કરવામાં આવતા વિરોધો પણ ક્યાંક હાંસીયામાં મુકાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

* 7 વર્ષથી વધુ સજા ધરાવતા ગુન્હામાં એફએસએલની હાજરી અનિવાર્ય : સર્ચ ઓપરેશનમાં વીડિયોગ્રાફી ફરજીયાત

નવા સુધારા હેઠળ 7 વર્ષથી વધુની સજાની જોગવાઈ હેઠળના ગુન્હામાં એફએસએલની ટીમની હાજરી અનિવાર્ય કરવામાં આવી છે તેમજ સર્ચ ઓપરેશન દરમિયાન વિડીયોગ્રાફીને ફરજીયાત બનાવવામાં આવી છે. જેથી કોર્ટમાં મજબૂત પુરાવાઓ રજૂ કરી શકાય. ઘણીવાર ગંભીર ગુન્હાઓમાં મજબૂત પુરાવાના અભાવે ગુનેગારને છોડીને મુકવાની ફરજ પડતી હોય છે તેને દૂર કરવા આ પગલું લેવામાં આવ્યું છે.

* ન્યાય પ્રણાલી પરનો વિશ્ર્વાસ દ્રઢ બનાવવા કોર્ટ કાર્યવાહી ઝડપી બનાવાશે

હાલ સુધી ફિલ્મ દામિનીનો ડાયલોગ ’તારીખ પે તારીખ’ ભારતીય ન્યાય પ્રણાલી સાથે વણાઈ ગયેલો હતો પણ હવે નવા સુધારા હેઠળ કોર્ટની કાર્યવાહીને ઝડપી અને સમય મર્યાદામાં પૂર્ણ કરી લોકોનો વિશ્વાસ દ્રઢ બનાવવા તરફ સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નવા સુધારા હેઠળ કોઈ પણ કેસમાં ચાર્જશીટ ફકત 90 દિવસમાં સબમિટ કરવાની રહેશે અને જો જરૂર જણાય તો કોર્ટની મંજૂરી બાદ જ વધારાનો 90 દિવસનો સમય આપવામાં આવશે એટલે કે ગમે તે કેસમાં મહત્તમ 180 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવશે. ઉપરાંત કોઈ પણ કેસમાં દલીલ પૂર્ણ થયાં બાદ ફકત 30 દિવસમાં ચુકાદો આપી દેવો પડશે અને જો જરૂર જણાય તો લેખિત કારણો આપ્યા બાદ જ વધારાનો 30 દિવસનો સમય આપવામાં આવશે.

*‘0’ નંબરથી થયેલી ફરિયાદ 15 દિવસમાં ટ્રાન્સફર કરવી જરૂરી

હવે ફરિયાદને કોઈ જ બાધ નહીં રહે. ભોગ બનનાર હવે ગમે તે સ્થળેથી ગમે તે પોલીસ સ્ટેશનમાં પોતાની અરજ દાખલ કરી શકશે અને તે ફરિયાદ લીધા બાદ જે તે જયુરીડીક્શન હેઠળના પોલીસ મથકમાં 15 દિવસની મર્યાદામાં ટ્રાન્સફર કરવાની રહેશે. જે બાદ જે તે પોલીસ સ્ટેશને નિયત સમય માર્યાદામાં તાત્કાલિક તપાસ કરવાની રહેશે.

* દેશની એકતા – અખંડીતતાને અને સાર્વભૌમત્વને હાનિ પહોંચાડનાર વિરુદ્ધ દેશદ્રોહ હેઠળ લેવાશે પગલાં

નવા સુધારા હેઠળ હવે અંગ્રેજોના સમયના દંડ આધારિત અને શાસન આધારિત રાજદ્રોહની કલમ 124-એને દૂર કરી દેવામાં આવ્યો છે. આ કાયદો અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવ્યો હતો જેથી દંડ આધારિત કાયદાને દૂર કરી દેવામાં આવ્યો છે. હવે દેશની એકતા અને અખંડીતતાને હાનિ પહોંચાડનારાઓ વિરુદ્ધ દેશદ્રોહના કાયદા હેઠળ પગલાં લેવામાં આવનાર છે. જો દેશદ્રોહનો કાયદો સાબિત થાય તો આજીવનકેદથી મૃત્યુદંડ સુધીની સજા ફટકારવામાં આવશે. આ કાયદો દેશની સાર્વભૌમત્વ અને એકતા-અખંડડીતતાને હાનિ પહોંચાડનાર વિરુદ્ધ પગલાં લેવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

* ગુન્હામાં ભોગ બનનારને પૂરેપૂરું રક્ષણ અને પોષણ આપવામાં આવશે

નવા સુધારા હેઠળ ગુન્હામાં ભોગ બનનારને રક્ષણ અને પોષણ ફરજીયાત બનાવવામાં આવનાર છે. ખાસ મહીલા અને બાળકો પર થયેલા અત્યાચારના બનાવોમાં મહિલાઓ અને બાળકોને પૂરેપૂરું રક્ષણ અને પોષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર સામેના બનાવોમાં પણ ફરિયાદી અને સાક્ષીઓને રક્ષણ આપવામાં આવનાર છે. હવે આ રક્ષણની જવાબદારી એસપી કક્ષાના અધિકારીને આપવામાં આવશે જે હાલ સુધી ડિજિપી કક્ષાએથી નિર્ણય લેવામાં આવતો હતો. આ સુધારો કરવા પાછળ નાગરિકોની સુખાકારી અને કલાયણને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે તેવું અમિત શાહે જણાવ્યું હતું.