ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ૧૦મેના રોજ પહેલું પેપર

પરીક્ષાનો સમય બપોરના ૩ વાગ્યાથી ૬.૩૦ વાગ્યા સુધીનો રહેશે

૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ૧૦મી મેથી શરૂ થઈ રહી છે.આ પરીક્ષાઓ ૨૫મી મે સુધી ચાલશે. પરીક્ષાનો સમય બપોરના ૩ વાગ્યાથી ૬.૩૦ વાગ્યા સુધીનો રહેશે. આ પહેલા કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો.

જેને પગલે વિદ્યાર્થીઓ હવે ૭૦ ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહૃાા છે. ધોરણ-૯થી ૧૦ની સાથે ધોરણ-૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહના પ્રશ્ર્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્ર્નો ૨૦%ની જગ્યાએ ૩૦% કરાયા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ-૯થી ૧૨ના અભ્યાસક્રમમાં ૩૦% ઘટાડો કરાયો છે. જ્યારે ધોરણ-૯,૧૦,૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રશ્ર્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્ર્નોનું પ્રમાણ ૨૦ ટકાથી વધારીને ૩૦% કરવામાં આવ્યું છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પ્રશ્ર્નપત્રમાં ૫૦% બહુવિકલ્પ પ્રશ્ર્નો અને ૫૦% વર્ણનાત્મક પ્રશ્ર્નો યથાવત રખાયા છે. ધોરણ ૯થી ૧૨ના પ્રશ્ર્નપ્રત્રમાં વર્ણાનાત્મક પ્રશ્ર્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાયા છે.

જ્યારે ધોરણ-૧૨ સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્ર્નપત્રોમાં ૫૦ ટકા એમસીકયું(મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ર્ચન) અને ૫૦ ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્ર્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ-૯થી ધોરણ-૧૨માં પ્રશ્ર્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્ર્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. આ ફેરફાર અન્વયે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના મુખ્ય ૪૦ વિષયોના પ્રશ્ર્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્ર્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ મારફતે તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ આ વિગતો મુકવામાં આવી છે.