ધનતેરસના પર્વે ઝવેરી બજારોમાં લોકોની ભીડ જામતા વેપારીઓમાં ખુશીની લહેર

દીપાવલિના તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે અને ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. ધનતેરસ એ સોના-ચાંદીની ખરીદી માટે શ્રેષ્ઠતમ દિવસ છે. માટે ધનતેરના પર્વે સોનુ અને ચાંદીની ખરીદી થઇ રહી છે. ધનતેરસનો દિવસ ધનની દેવી લક્ષ્મીજીની ઉપાસના ઉપરાંત ભગવાન ધનવંતરિના પ્રાગ્યટય દિન હોવાથી ધનવંતરિ પ્રાગ્યટય દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ઝવેરી બજારમાં સવારથી મોડી રાત સુધી રોનક જોવા મળશે. વર્ષ દરમિયાન ઘર-પરિવારમાં ધન અને સમુદ્ધિની પ્રાપ્તિ થાય તે હેતુંથી આજે ધનતેરસમાં ધનની દેવી લક્ષ્મીજીનું પૂજન-અર્ચન કરાશે.

વેપારીઓ દેશીહિસાબના ચોપડા અને લક્ષ્મીજીનું પૂજન કરશે. તો હિંદુ ધર્મના લોકો પોતાના ઘેર લક્ષ્મીજીનું સ્થાપન કરી તેમની શ્રદ્ધાભેર પૂજા-અર્ચના કરશે. ધનતેરસ ર્ધાર્મક પરંપરા અને માન્યતા ઉપરાંત સોના-ચાંદીની ખરીદી માટેનો શુકનવંતો દિવસ છે. આજે ધનતેરસમાં કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ખરીદી થશે. સોનાના ભાવ ખૂબ જ વધારે હોવા છતા પણ લોકો શુકન માટે સોના અને ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. સોની બજારમાં ઘરાકી હોવાના કારણે સોનીઓ પણ ખુશ છે કારણ કે ભાવ વધુ હોવાના કારણે ઘણા સમયથી સોનાના ધંધામાં ખૂબ જ મંદીનો માહોલ હતો,

પરંતુ આજે તહેવારના કારણે સોનામાં અને ચાંદીમાં શુકનવંતી ઘરાકી નીકળતા વેપારીઓ પણ ખુશ છે. રાજ્યના તમામ સોની બજારમાં આજે ઘરાકી નીકળતા વેપારીઓના ખુશ થયા હતા. સાથે-સાથે દર વર્ષની પરંપરા મુજબ ધનતેરસે સોના-ચાંદીની ખરીદી શુકનવંતી માનવામાં આવે છે તે માટે આજે લોકો પણ સોના-ચાંદીની ખરીદી કરવા માટે સોની બજારમાં ઊમટી પડ્યા હતા અને આજે નક્ષત્ર મુજબ સોના-ચાંદીની યથાશક્તિ મુજબ ખરીદી કરી અને પરંપરા જાળવી રાખી હતી. આજે અમદાવાદમાં ૨૪ કેરેટ સોનાનો ભાવન પ્રતિ ૧૦ ગ્રામ ૫૨,૮૧૫ છે જ્યારે ચાંદી પ્રતિ કિલો ૬૨,૭૦૦ છે.