જસદણ જીલ્લેશ્વર પાર્કનો બનાવ: ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા: પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી
જસદણ જીલ્લેશ્વર પાર્ક પાસે તારી દિકરી વકીલ મારા ભાઇ સાથે અવારનવાર ઝઘડો કરે છે કહીં પ્રૌઢ પર પુત્રીના જેઠે સળિયાથી હુમલો કરતાં પ્રૌઢને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે જસદણના વાજસુરપરા શેરી નં-14 માં રહેતાં વિનોદભાઈ ત્રિકમભાઈ કુબાવત (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રવી ધ્યાનદાસ કુબાવતનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મજુરી કામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ગઇ તા.28/03/2024 ના તેઓ ચોટીલા રોડ પર આવેલ કીટીના વાડે મજુરીકામે ગયેલ અને સાંજના સાઇકલ લઇને ઘરે આવતાં હતા.
ત્યારે જસદણ જીલ્લેશ્વર પાર્કની બાજુમાં આવેલ બાપાસીતારામના ઓટલા પાસે પહોંચતા ત્યાં બાકડા ઉપર તેઓની મોટી દિકરીના જેઠ રવી કુબાવત બેઠેલા હોય અને તેને બાંકડા નીચેથી એક લોખંડનો સળીયો કાઢી સળીયા વડે હુમલો કરતાં તેઓ સાઇકલ ઉપરથી નીચે પડી ગયેલ અને રવી કહેવા લાગેલ કે, તારી દિકરી વકીલ મારા નાના ભાઇ દુર્ગેશ સાથે અવારનવાર ઝઘડો કરતી હોય જેથી હવે તને તથા તારા પરિવારને જાનથી મારી નાખવા છે.
ધમકી આપી લોખંડના સળીયા વડે ફટકારવા લાગેલ હતો અને ત્યાં લોકો દોડી આવતાં આરોપી નાસી છૂટ્યો હતો. બાદમાં તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં ત્યાં નીચે પડેલ અને 108 મારફતે સારવારમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.