તાંત્રિકોએ ૩૨ લાખ પડાવતાં પરિવારે ભર્યું હતું અંતિમ પગલું

વડોદરા સામૂહિક આપઘાત કેસમાં ચોંકાનવારો ઘટસ્ફોટ:

વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સામેની સ્વાતિ સોસાયટીમાં બુધવારે સોની પરિવારના ૬ સભ્યોએ કરેલા સામૂહિક આપઘાતના પ્રયાસમાં ત્રણનાં મોત થતાં સનસનાટી મચી ગઈ હતી. પાષાણ દયના માનવીને પણ હચમચાવી મૂકનારી આ કરૂણ ઘટના બનવા પાછળની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કરતાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે રોજગાર ધંધામાં તરક્કી થાય તે માટે લેભાગુ જ્યોતિષીઓના શરણે ગયેલો સોની પરિવાર આર્થિક રીતે પાયમાલ થઈ ગયો હતો.

શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની પાતળી ભેદરેખા વચ્ચે અટવાતા આ પરિવાર પાસેથી કહેવાતા જ્યોતિષીઓએ ૩૨ લાખ રૂપિયા પડાવી લેતાં તેમની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ સ્વાતી સોસાયટીમાં રહેતાં ૬૦ વર્ષીય નરેન્દ્રભાઈ સોની મંગળબજારમાં પ્લાસ્ટીકની દૃુકાન ચલાવતા હતા. જ્યારે તેમનો એન્જિનિયર પુત્ર ભાવિન (ઉં-૨૮) મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટનું કામ કરે છે. જો કે નરેન્દ્રભાઈનો ધંધો પડી ભાંગતા પરિવાર આર્થિક ભીંસમાં મુકાઈ ગયો હતો. જેથી વર્ષ ૨૦૧૯માં તેમણે પોતાના મકાનનો રૂ.૨ લાખમાં સંજય મિસ્ત્રી સાથે સોદો કર્યો હતો. જે તે વખતે નરેન્દ્રભાઈએ બાનાખત કરી આપી ૭ લાખ રૂપિયા ટોકન પેટે સંજય પાસેથી લીધા હતા.

તે પછી ૧૧ મહિનાના ગાળામાં સંજયે રૂ.૧૮ લાખ નરેન્દ્રભાઈને આપ્યા હતા. બાનાખત કરી આપ્યા બાદ નરેન્દ્રભાઈએ બે ફાઈનાન્સ કંપનીઓમાં મકાન તારણમાં મુકી અનુક્રમે ૭ લાખ અને ૧૩.૫૦ લાખની લોન લીધી હતી. જેની જાણ સંજય મિસ્ત્રીને થતાં તેણે વર્ષ ૨૦૨૦માં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નરેન્દ્ર સોની વિરુદ્ધ અરજી આપી હતી. ત્યારબાદ થોડા મહિના પહેલાં સંજય મિસ્ત્રીએ બાકીના પાંચ લાખ આપી નરેન્દ્રભાઈ પાસેથી મકાનનો કબજો મેળવી લીધો હતો. પરંતુ ફાઈનાન્સ કંપનીના તારણમાં હોવાથી દસ્તાવેજ થયો નહીં.