ડો.છગનભાઇ પટેલની એબીવીપી પ્રમુખ તરીકે પસંદગી કરાઇ

ગુજરાતના મહેસાણાના નિવાસી ડો. છગનભાઈ નાનજીભાઈ પટેલ (સીએન પટેલ)ને વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. મુંબઈ સ્થિત ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના કેન્દ્રીય કાર્યાલયથી ચૂંટણી અધિકારી ડો. ઉમા શ્રીવાસ્તવે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, એબીવીપીના અધ્યક્ષ પદ પર ડો. પટેલ અને મહામંત્રી પદ પર નિધિ ત્રિપાઠીની એક વર્ષ માટે બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. એબીવીપીના બંને નવનિયુક્ત પદાધિકારી ૨૫-૨૬ ડિસેમ્બરે નાગપુરમાં આયોજિત ૬૬માં રાષ્ટ્રીય અધિવેશનનો પદભાર ગ્રહણ કરશે.

૫૫ વર્ષીય છગનભાઈ પટેલ ગુજરાતના મહેસાણા જિલ્લાના છે અને ફાર્મસીમાં પીએચડી કરી છે.હાલ તેઓ મહેસાણાની  સાર્વજનકિ ફાર્મસી કોલેજમાં પ્રોફેસર અને પ્રિન્સિપાલ છે.  ઉપરાંત ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ફાર્મસી ફેકલ્ટીના બોર્ડ સભ્ય છે.