ગાંડી વેલ દુર કરવાના વધુ એક મશીનને પ્રસ્થાન કરાવતા અંજલીબેન રૂપાણી

ગાંડી વેલના કારણે ઉત્પન્ન થતા મચ્છર સહિતના ઉપદ્રવ દૂર કરવાની કામગીરી આધુનિક મશીનથી ઝડપથી દૂર થઈ શકશે

નદીમાં ઉત્પન્ન થતી ગાંડી વેલને કારણે ઉપસ્થિત થતા ઉપદ્રવના નિરાકરણ માટે આ અગાઉ રાજકોટ મહાનગરપાલિકાએ એક મશીન વસાવ્યું હતું. આ આધુનિક મશીન દ્વારા ગાંડી વેલ દુર કરવાની કામગીરી વધુ ઝડપથી થઇ શકે તે માટે વધુ એક મશીન વસાવવામાં આવ્યું છે. આજે ગાંડીવેલ દુર કરવા માટેના આ નવા મશીનને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધર્મપત્ની અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ સાથે રાજકોટ મહાનગરપાલિકા પાસે ગાંડી વેલ દુર કરવા માટેના બે આધુનિક મશીન ઉપલબ્ધ બનતા કામગીરી વધુ ઝડપથી કરી શકાશે. કાર્યક્રમ સ્થળે અંજલીબેન રૂપાણી ઉપરાંત પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ દંડક અજયભાઈ પરમાર, નવા ચૂંટાયેલા કોર્પોરેટરઓ તથા નાયબ મ્યુનિ. કમિશનરઓ બી. જી. પ્રજાપતિ, એ.આર. સિંહ, સી.કે. નંદાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ અગાઉ ગાંડી વેલ દુર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ આધુનિક મશીનને તા.1 જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફ્લેગ આપેલ. ત્યારબાદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે વધુ એક મશીનની ખરીદી કરવા મંજૂરી આપી હતી અને ત્યારબાદ આવશ્યક કાર્યવાહી ઝડપભેર પૂર્ણ કરતા રાજકોટ મહાનગરપાલિકાને આ બીજું મશીન પ્રાપ્ત થયું છે.

આ પ્રસંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ગાંડી વેલના કારણે ઉત્પન્ન થતા મચ્છર સહિતના ઉપદ્રવ દુર કરવા રાજકોટ મહાનગરપાલિકાએ આધુનિક મશીનરી વસાવી છે. આ કામગીરી વધુ અસરકારક રીતે થાય તે માટેની આ વ્યવસ્થાને મજબુત બનાવવામાં આવી રહી છે. આજે વધુ એક મશીન પ્રાપ્ત થતા મહાનગરપાલિકા પાસે કુલ બે મશીનો ઉપલબ્ધ થયા અને તેના સહારે કામગીરીને વેગ મળશે. ગાંડી વેલ દુર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી થઇ રહી છે અને થતી રહેશે. તેમ અંતમાં જણાવ્યું હતું.(13.20)