ગુજરાત હાઈકોર્ટે મુંદ્રા તાલુકાના નવીનાળ ગામમાં ગૌચર જમીનની ફાળવણીને લઈને 13 વર્ષથી ચાલી રહેલા વિવાદ પર રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા કે તેઓ અદાણી પોર્ટ અને SEZ લિમિટેડ (APSEZL) પાસેથી જમીન પરત લેવાના પોતાના સંકલ્પોને પૂરો કરે.
આ કેસ 2011માં સામે આવ્યો હતો. નવીનાળના ગ્રામજનોએ 2005માં મુંદ્રા પોર્ટ અને SEZ લિમિટેડ જે હવે APSEZL તરીકે ઓળખાય છે તેને 231 એકર ગૌચર ભૂમિ ફાળવવાના મુદ્દે એક જનહિત અરજી કરી હતી. ગ્રામીણો તરફ હાજર થયેલા વકીલ આનંદ યાજ્ઞિકે તર્ક આપ્યા હતા કે જમીન ફાળવવાને કારણે ઢોર માટે ગૌચર જમીન ઘટી ગઈ છે.
ગ્રામીણોને વધારાની ભૂમિ ફાળવવાના રાજ્યના વાયદાના આધારે 2014માં જનહિત અરજીનો નિવેડો લવાયો હતો પરંતુ 2015માં રાજ્ય સરકાર દ્વારા ઓછી ભૂમિ ઉપલબ્ધ હોવાનો હવાલો આપીને એક સમીક્ષા અરજી દાખલ કરી હતી.
કચ્છ જિલ્લાના મુખ્ય કલેક્ટર મનોજકુમાર દાસે શુક્રવારે એફિડેવિટ દાખલ કરી કહ્યું કે, 4 જુલાઈ 2024નાં રોજ રાજ્ય સરકારે APSEZ લિમિટેડ પાસેથી નવીનલ ગામની ગૌચર જમીન પરત લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની બેંચે આ એફિડેવિટની સમીક્ષા કર્યા બાદ રાજ્ય સરકારને પોતાના સ્વંય સંકલ્પને ઝડપથી લાગુ કરવાના નિર્દેશ આપ્યા. કોર્ટે આ કાર્યાન્વયનની પ્રગતિના આકલન કરવા માટે કાર્યવાહી 26 જુલાઈ 2024 સુધી સ્થગિત કરી દીધી. જો કે APSEZLનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ અધિવક્તા મિહિર ઠાકોરે કોર્ટના નિર્દેશો પર વાંધો ઉઠાવ્યો. તેમણે તર્ક આપ્યો કે રાજ્ય સરકાર APSEZLને લગભગ બે દશકા પહેલા ફાળવેલી જમીનની પુન:પ્રાપ્ત ન કરી શકે. આ પ્રકારના નિર્દેશ કંપનીના અધિકારોનું ઉલ્લંઘન કરશે.જેના પર કોર્ટે APSEZ લિમિટેડને કહ્યું કે જો તે સરકારના નિર્ણયને પડકારવા માગે છે તો તેઓ અલગથી અરજી દાખલ કરે.
Visit Saurashtra Kranti E-paper here