આવતીકાલે શુક્રવારે ૨૧ જૂનના રોજ સૂર્યદેવનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થવાની સાથે જ વરસાદને લઈને વરસાદો કાઢવામાં આવી રહ્યો છે. હાલ નક્ષત્ર, વાહનને જોતાં સારા વરસાદની શરૂઆત થાય એવો મત જયોતિષી આપી રહ્યા છે. બીજી બાજુ જૈન સમુદાયમાં આદ્રા નક્ષત્ર આરંભ સાથે જોડાયેલી પરંપરાને આધીન કેરી, જાંબુ ઇત્યાદિ ફળોનો ત્યાગ કરવામાં આવશે. ‘સવ્વે જીવાવિ ઈચ્છતિ જીવવું’ સૂત્રને આધીન ચાલતી પરંપરા પ્રમાણે હવે જૈન સમુદાયના લોકો કેરી, જાંબુ જેવા ફળો આરોગશે નહીં.
જૈન શાસ્ત્રોમાં ઉલ્લેખ મુજબ વર્ષોથી ચાલતી પરંપરાનું આદ્રા નક્ષત્રથી અનુસરણ કરાશે. જૈન શ્રાવક અજિત મહેતાએ જણાવ્યું હતું કે, શુક્રવારે આદ્રા નક્ષત્ર બેસતાં જેનો કેરીનો ત્યાગ કરશે. શુક્રવારે રાત્રે ૧૨.૦૮ કલાકે આદ્રા નક્ષત્ર શરૂ થાય છે. કેરી,જાંબુ જેવા અમુક ફળો ઉપરથી સુંદર દેખાય છે. પરંતુ વર્ષાકાળ-ચોમાસાના વાતાવરણની અસરને કારણે આવા ફળોની અંદર જીવોની ઉત્પત્તિ થઈ જતી હોય છે. જેનાગમ શ્રી દશ વૈકાલિક સૂત્રમાં આગમકાર ભગવંતોએ સવ્વે જીવાવિ ઈચ્છતિ જીવવું એવું ફરમાવ્યું છે. અર્થાત જગતના દરેક જીવોને જીવવું ગમે છે. મરવું કોઈને ગમતું નથી.
જૈનો તો જીવદયાના પાલનહાર હોય છે, જૈન આગમ શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર આદિ જૈન શાષાોમાં અભિજિત સ્વાતિથી લઈ ઉત્તરાષાઢા વિવિધ પ્રકારના નક્ષત્રનો ઉલ્લેખ આવે છે. શ્રાવકે વધુમાં ઉમેર્યું હતું કે, વિવિધ પ્રકારના નક્ષત્રમાં આદ્રાનો પણ સમાવેશ થાય છે. આદ્રા બેસતા આમફળ, જાંબુ આદિ ફળોના સ્વાદમાં પણ ફરક પડી જાય છે. આદ્રા પછી કેરી આરોગવાનું ચાલુ રાખવામાં આવે તો પેટ, વાયુના રોગો થવાની પણ સંભાવના રહેલી છે. જેનો તો ઠીક પરંતુ અમુક જૈનેતરો પણ આદ્રા પછી કેરી આરોગતા નથી. શુક્રવારે રાત્રે સૂર્યદેવનો આદ્રામાં પ્રવેશ થવાની સાથે જ વરસાદનું મુખ્ય નક્ષત્ર શરૂ થશે. જેમાં આ વર્ષે આદ્રામાં વાહન અને ચંદ્રનું નક્ષત્ર જોતાં સારો વરસાદ પડે એવો વરતારો કાઢવામાં આવ્યો છે. ૫ જુલાઇથી પુનર્વસુ નક્ષત્રમાં મધ્યમ અને ૧૯ જુલાઇથી પુષ્ય નક્ષત્રમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
Visit Saurashtra Kranti E-paper here