મોહનભાઈ ઝેરીલો માણસ છે, ગમે તેનું ગમે ત્યારે કરાવી નાખે:જીતું સોમાણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પુરી થતા ભાજપમાં અંદરો-અંદર બરાબરની લાગી!

વાંકાનેર નગરપાલિકાની બેઠક પરથી ચુંટણી જીતેલા જીતુભાઈ સોમાણીએ આક્ષેપ કાર્યો છે કે, મોહનભાઈ ઝેરીલો માણસ છે, ગમે તેનું ગમે ત્યારે કરાવી નાખે કહી ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પુરી થતા ભાજપમાં અંદરો-અંદર બરાબરીની લાગી ગઈ છે તેવી ચર્ચાઓ થઇ રહી છે. મોરબી જીલ્લા ભાજપ પ્રમુખને વાંકાનેરનગર સેવકે પત્ર લખ્યો છે.

આપને જણાવવાનું કે તા. 22/02/2021 ના રોજ આપે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દીનુભાઈ વ્યાસને નોટીસ આપી છે. એ કોઈ પગારદાર નોકરી કરનાર કર્મચારી નથી. આમ, નિયમાનુસાર તેની પાસે ખુલાસો માંગી શકાય પરતું તેને નોટીસ આપવી એ ભારતીય જનતા પાર્ટીના બંધારણથી વિરુદ્ધ છે. નોટીસ મારા સંબધિત હોય તો આ બાબતે હું આપને નીચેની બાબતો જણાવવા માંગું છું..

ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા 60+ અને સતત ત્રણ ટર્મ ચૂંટણી જીતેલા વ્યકિતને 2021 ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવવા,જેનું પાલન વાંકાનેર શહેર સંગઠને ખૂબ જ નિષ્ઠાપૂર્વક કર્યું છે. પરંતુ ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા ડમી ઉમેદવાર તરીકે કોને ફોર્મ ભરવું અને કોને ફોર્મ ન ભરવું તેવી કોઈ ગાઈડલાઈન કે પરિપત્ર કર્યો નથી. સાથે-સાથે જિલ્લા ભાજપ દ્વારા પણ આવી કોઈ સૂચના લેખિત કે મૈખિક શહેર સંગઠનને આપેલ નથી. વળી, વાંકાનેર રાતીદેવરી જીલ્લા પંચાયતના ઉમેદવાર શેરશીયા ઝહીરભાઈના ડમી ઉમેદવાર તરીકે તેમના પિતા શેરશીયા યુસુફભાઈએ ભરેલ છે, જે 60+ની ઉપર ઉંમર ધરાવે છે.

પ્રદેશ ભાજપની સ્પષ્ટ સૂચના હતી કે 60+ ની ઉમરના વ્યકિતને ઉમેદવાર તરીકે ઉભા ન રાખવા છતા પણ તમે માળીયા નગરપાલિકાની ચૂંટણીમાં આ નિયમ વિરુધ્ધ ઉમેદવારો ઉભા રાખ્યા છે, જે નીચે પ્રમાણે છે.(1) જેડા ફાતેમાબેન ઉમાનભાઈ વોર્ડ નંબર 2,ઉંમર 75 વર્ષ (2) કટીયા નેકમામદ વલીમામદ, વોર્ડ નંબર 5,ઉંમર 62 વર્ષ (3) જામ અમીનાબેન મામદભાઈ, વોર્ડ નંબર 4,ઉંમર 62 વર્ષ (4) જેડા હસીનાબેન જાનમામદ, વોર્ડ નંબર 1,ઉંમર 62 વર્ષ. આમ આપના દ્વારા આ ગંભીર બેદરકારી રાખવામાં આવી છે. આ સમગ્ર બાબતની જાણ હું પ્રદેશ ભાજપના પાર્લામન્ટરી બોર્ડને પણ કરીશ.

જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશમાંથી આવેલ ચુંટણી ફંડ વાંકાનેર શહેર સંગઠન સિવાય જિલ્લાના તમામ સંગઠનને આપવામાં આવ્યું છે તો વાંકાનેર શહેર સંગઠન સાથે આવું વર્તન શા માટે? સાથે – સાથે જણાવવાનું કે જીલ્લા સંગઠન દ્વારા પ્રદેશના નેતાઓની સભા, પ્રચાર વગેરે કાર્યે ક્યો કરવામાં આવતા હોય છે આપે વાંકાનેર શહેર સાથે એક પણ વખત સંકલન આ ચૂંટણીમાં કરેલ નથી તો વાંકાનેર નગરપાલિકામાં ભાજપના ઉમેદવારને જીતાડવાની જવાબદારી તમારી નથી ?

હું લોહાણા સમાજમાંથી આવું છું. અમારા સમાજની વસતી ખૂબ જ ઓછી છે, મારા સમાજ દ્વારા મને રાજકીય પ્રતિનિધિત્વ આપ્યું છે, જયારે તમે અને મોહનભાઈ કુંડારીયા વારંવાર રાગદ્વેષ અને કિન્નાખોરી રાખી મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયત્નો કરી રહયા છો. મારા કારણે તમે લોહાણા સમાજને ખત્મ કરવાના પ્રયત્નો કરી રહયા છો તે તમારી આ કામગીરીથી સ્પષ્ટ થાય છે.

મોરબી જિલ્લામાં મોહનભાઈ કુંડારીયા પોતાનો રાજકીય પ્રભાવ વધારવા યેન-કેન પ્રકારે ભાજપના કાર્યકરોને દબાવીને ધમકાવીને પોતાના દબાણમાં રાખવા કાર્યો કરી રહયા છે. ભૂતપૂર્વે જિલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખને જડેશ્વર પર નહિ પહોંચ, તારા ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને પણ મારા કહેવામાં રહો નહિતર ડોફે લગાડી દઈશ તેવું કહ્યું હતું . આ સિવાય ઘણા મુદાઓ છે જે આવનાર દિવસોમાં સમય આવ્યે કહીશ.