રાજકોટની ભાગોળે નિર્માણ પામીને શરૂ થયેલા નવા આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થવાનું સપનું માત્ર સ્વપ્ન જ બની રહેવાના સંકેતો હોય તેમ ખાસ ઈન્ટરનેશનલ ટર્મીનલ બને પછી જ વિદેશની વિમાની સેવા શરૂ કરવા દેવા એરપોર્ટ ઓથોરીટીએ સ્પષ્ટ કરી દીધુ છે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના ટોચના સુત્રોએ કહ્યું કે ટુંકા ગાળામાં રાજકોટનાં હિરાસર એરપોર્ટ પરથી વિદેશી વિમાનોની અવરજવર શરૂ થવાની કોઈ શકયતા નથી. આંતર રાષ્ટ્રીય ફલાઈટ માટે ખાસ કાયમી ઈન્ટરનેશનલ ટર્મીનલ આવશ્યક છે.
હાલ એક ટર્મીનલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જે 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ ટર્મીનલ પરથી માત્ર ડોમેસ્ટીક ફલાઈટનું જ સંચાલન કરવાનું એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ નકકી કર્યુ છે.
પ્રારંભીક તબકકે એવુ આયોજન હતું કે હિરાસર એરપોર્ટ પર હાલ નવા બની રહેલા ટર્મીનલ પરથી ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એમ બન્ને ફલાઈટનું સંચાલન કરવુ અને તેને ધ્યાને રાખીને ટર્મીનલને બે ભાગમાં વિભાજીત કરવાની યોજના હતી.
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાની તાજેતરની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે નવા બંધાતા બિલ્ડીંગમાં કસ્ટમ, ઈમીગ્રેશન, એરલાઈન્સોની ઓફીસ તથા પ્રવાસીઓ માટેની સુવિધા જેવી તમામ બાબતોનું યોગ્ય માળખુ ઉભુ થઈ શકે તેમ નથી એટલે આ ટર્મીનલનો ઉપયોગ માત્રને માત્ર ડોમેસ્ટીક ફલાઈટ માટે જ કરવાનો નિર્ણય લેવાયો હતો.
રાજકોટ એરપોર્ટનાં ડાયરેકટર દિંગત બોરારે વાતચીતમાં સ્વીકાર્યું હતું કે મુળ યોજનામાં ફેરફાર થયો છે. ઈન્ટરનેશનલ ફલાઈટ માટે ખાસ નવુ ટર્મીનલ ઉભુ કરવુ પડશે અને તે આયોજનના તબકકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની 30 કીમી દુર નિર્મિત હિરાસર એરપોર્ટનો શિલાન્યાસ 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કરાયો હતો. 1045 હેકટર જમીનમાં નિર્માણ કરાયું હતું. ટર્મીનલ ફેબ્રુઆરી 2024 માં બંધાઈ જવાનો ટારગેટ હતો. પરંતુ તે મોડુ થયુ છે. હિરાસર એરપોર્ટનુ ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ 2023 માં કર્યું હતું.
Visit Saurashtra Kranti E-paper here