કેન્દ્ર સરકાર સંભવીત પણે માસાંતે રજુ થનારા બજેટમાં આમ આદમીથી માંડીને ઉદ્યોગક્ષેત્ર સહીતનાં વર્ગોને રાહતો મળવાની અટકળો વ્યકત થઈ રહી છે. નાના વર્ગોને રાહત આપવા માટે સરકાર બચત ખાતાનાં રોકાણમાં મળતા રૂા.25000 સુધીના વ્યાજને મુકત બનાવે તેવી સંભાવના છે. નાણામંત્રાલય સાથેની બેઠકમાં ખુદ બેંક પ્રતિનિધિઓએ જ આ દરખાસ્ત કરી હતી.કેન્દ્રીય નાણા વિભાગનાં એક સીનીયર અધિકારીએ કહ્યું કે દરખાસ્ત વિચારણા હેઠળ છે. ઉપરાંત બેંકોને પણ થોડી છુટછાટો મળી શકે છે. થાપણ વધારવા માટે બેંકોએ પણ છુટછાટો માંગી છે.
કેન્દ્ર સરકારે 2020 ના બજેટમાં ઈન્કમટેકસનું વૈકલ્પિક કરમાળખુ પણ જાહેર કર્યું હતું તેમાં કરમુકિતની ઉંચી મર્યાદા સામે છુટછાટો રદ કરવામાં આવી હતી. જુની પદ્ધતિમાં જ સામેલ કરદાતાઓને આવકવેરા કાયદાની કલમ 80 ટીટીએ હેઠળ બચત ખાતામાંથી મળતુ 10,000 સુધીનુ વ્યાજ કરમુકત છે.
જયારે 60 વર્ષથી વધુની વયના સીનીયર સીટીઝનને 50,000 સુધીનું વ્યાજ કરમૂકત છે. ફીકસ્ડ ડીપોઝીટમાં મળતા વ્યાજનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. નવી કર પદ્ધતિ હેઠળ આ લાભ મળતો નથી.
આવકવેરા કાયદાની કલમ 10 (15) (આઈ) હેઠળ કરદાતાઓને પોસ્ટ ઓફીસના વ્યકિતગત બચત ખાતામાં રૂા.3500 તથા સંયુકત બેંક ખાતામાં રૂા.7000 સુધીનાં વ્યાજમાં કરમુકિતનો લાભ મળે છે. બેંક પ્રતિનિધિઓ દ્વારા આવકવેરાના બન્ને માળખામાં એક સમાન લાભ આપવાનો અભિપ્રાય દર્શાવ્યો હતો.
માહિતગાર સુત્રોએ કહ્યું કે બેંકોનાં બચત ખાતામાંથી મળતી વ્યાજદર આવકમાં કરમુકિત વધારવાની સાથોસાથ નવા કરમાળખામાં પણ તેનો લાભ આપવાની દરખાસ્ત વિચારણામાં લેવાનું સરકારે સ્વીકાર્યું છે.
શેરબજારની રેકોર્ડબ્રેક તેજીને કારણે લોકો પોતાની બચત બેંકોમાં આપવાના બદલે માર્કેટમાં રોકાણ કરવા લાગ્યા હોવાથી બેંક થાપણોને મોટો ફટકો પડયો છે. ઉપરાંત અર્થતંત્ર-વેપાર ઉદ્યોગમાં મોટો ધમધમાટ છે એટલે ધિરાણમાં મોટો વધારો થઈ રહ્યો છે. આ કારણોસર થાપણ-લોન રેશીયો વધી ગયો છે.
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તેના છેલ્લા ફાઈનાન્સીયલ સ્ટેબીલીટી રીપોર્ટમાં એમ કહ્યુ હતું કે ભારતીય પરિવારો બચતનું વૈવિધ્યકરણ કરી રહ્યા છે. શેરબજાર સહિતના ક્ષેત્રોમાં રોકાણ વધારી રહ્યા છે અને બેંક થાપણોમાં કમી આવી છે. સપ્ટેમ્બર 2021 થી થાપણ-લોનનું અંતર વધી રહ્યું છે. ડીસેમ્બર 2023 ના 78.8 ટકાના સ્તરે હતું જે પછી માર્ચ 2024 માં 76.8 ટકા હતું.
Visit Saurashtra Kranti E-paper here