વડાપ્રધાન તરીકે ત્રીજીવાર શપથ લીધા બાદ વડાપ્રધાન મોદી નાલંદા વિશ્વ વિદ્યાલયની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે નાલંદા વિશ્વ વિદ્યાલયના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે નાલંદાનો અર્થ છે જ્યાં શિક્ષણ અને જ્ઞાનનો દાહ અવિરત પ્રવાહ હોય, શિક્ષણ સીમાઓથી પર છે. નફાનુકસાનના દ્રષ્ટિકોણથી પણ પર છે. નાલંદામાં 20 દેશથી વધુ દેશોના લોકો ભણતા હતા. નાલંદા વિશ્વ વિદ્યાલય આસિયાન ઇન્ડિયા વિશ્વ વિદ્યાલયની દિશામાં પણ કામ કરી રહી છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે નાલંદા વિશ્વ વિદ્યાલય આપણી ઓળખ છે. પુસ્તકો ભલે સળગી જાય, પણ આગની જવાળાઓ જ્ઞાનને મિટાવી નથી શકતી. તેની ફરીથી સ્થાપના ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆતમાં કરવા જઇ રહી છે.
તે ભારતના સામર્થ્યનો પરિચય આપશે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે નાલંદા માત્ર ભારતના જ અતીતનું પુન: જાગરણ નથી તેમાં એશિયાના અનેક દેશોનો વારસો જોડાયો છે. આ તકે ઉપસ્થિત બિહારના સીએમ નીતિશકુમારે વડાપ્રધાન મોદીને આવકારી જણાવ્યું હતું કે આપ અહીં આવ્યા તો સારું લાગ્યું. વડાપ્રધાન મોદીએ આ તકે નાલંદા વિશ્વ વિદ્યાલયના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું.
Visit Saurashtra Kranti E-paper here