વાતચીત માટે દરવાજા બંધ થયા નથી: હિંસા બાદ ખેડૂતો સાથે ચર્ચા કરવા સરકાર તૈયાર

ખેડૂતો સાથે કૃષિ કાયદા અંગે વાતચીત ચાલુ રહેશે

ગઇકાલે દિલ્હીમાં ખેડૂતો દ્વારા યોજાયેલી ટ્રેક્ટર રેલીમાં હિંસા બાદ આજે બુધવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રકાશ જાવડેકરે સ્પષ્ટ કરી દીધું કે, ખેડૂતો સાથે કૃષિ કાયદા અંગે વાતચીત ચાલુ રહેશે.

કિસાન સંગઠનો સાથે ચાલુ વાતચીત અંગે પ્રકાશ જાવડેકરે કહૃાું કે, અમે ક્યારેય કહૃાું નથી કે વાતચીતના દરવાજા બંધ થયા છે. બુધવારે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતો સાથે વાતચીતને લઇને કરેયેલા પ્રશ્ર્ન અંગે તેમણે કહૃાું કે, તમે ક્યારે સાંભળ્યું કે વાતચીતના દરવાજા બંધ થયા છે? દિલ્હીમાં થયેલી હિંસાને લઇને પ્રકાશ જાવડેકરે કહૃાું કે, ગણતંત્ર દિવસે જે કંઇ પણ થયું તેને લઇને દિલ્હી પોલીસ તરફથી જ માહિતી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદાઓ અંગે ખેડૂત સંગઠનો અને ભારત સરકાર વચ્ચે ઘણી વખત બેઠકો યોજાઇ. પરંતુ તેનું કોઇ પરિણામ ન નીકળ્યું. છેલ્લી બેઠકમાં સરકાર તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, સરકારનો પ્રસ્તાવ માનવામાં આવે, તેનાથી વધુ કંઇ થઇ શકે તેમ નથી.

કેન્દ્ર સરકાર તરફથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે, કાયદાના અમલ પર ૧૮ મહિના સુધી રોક લગાવવામાં આવશે અને સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી કમિટીના નિર્ણયની રાહ જોઇ શકે છે. જો કે, ખેડૂત સંગઠનોની એક જ માગ હતી કે કૃષિ કાયદા પરત લેવામાં આવે.