ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ: તા.1 અને 5 ડિસેમ્બરે મતદાન

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ: તા.1 અને 5 ડિસેમ્બરે મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ: તા.1 અને 5 ડિસેમ્બરે મતદાન
ગુજરાતમાં લોકશાહીના સૌથી મોટા પર્વની આજે જાહેરાત થઇ ગઈ છે અને ચૂંટણીના બ્યુગલ વાગી ઉઠ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજવામાં આવશે એવું ચૂંટણીપંચે જાહેર કર્યું છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ રાજ્યમાં બે તબક્કે તા.1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. જયારે 8 ડિસેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે. વિધાનસભાની કુલ 182 બેઠકો માટે રાજ્યના કુલ 4.9 કરોડ મતદારો એમના મતાધિકારનો ઉપયોગ કરશે અને નવી સરકારના ભાવીનો ફેસલો કરશે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

ચૂંટણીપંચે મતદારો સંપૂર્ણ સુવિધા અને સુરક્ષા સાથે નિર્ભય થઈને મતદાનની પ્રક્રિયામાં ભાગ લઇ શકે એ માટે તમામ વ્યવસ્થાઓ પરિપૂર્ણ કરી લીધી છે. ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રહેશે અને મતોની ગુપ્તતા સંપૂર્ણ રીતે જાળવવામાં આવશે. એવી ચૂંટણીપંચે ગુજરાતના મતદારોને ખાતરી આપી છે.આજે નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણીપંચના અન્ય બે સભ્યોની ઉપસ્થિતિમાં ખાસ પત્રકાર પરિષદમાં ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ચૂંટણીપંચે જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 1લી ડિસેમ્બરે મતદાન થશે. પહેલા તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં મધ્ય અને ઉતર ગુજરાતની કુલ 93 બેઠકો માટે મતદાન થશે.

ચૂંટણીપંચે જાહેર કર્યા મુજબ બંને તબક્કા માટે ચૂંટણીનું જાહેરનામું અનુક્રમે 8 અને 10 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર રહેશે. 15 નવેમ્બરે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર રહેશે. જયારે બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર રહેશે. 18મી નવેમ્બરે ફોર્મની ચકાસણી થશે અને નામપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર રહેશે.ગુજરાતમાં નાગરિકો માટે ખુબ જ સરળતા સાથે મતદાનની ગોઠવાયેલી વ્યવસ્થા અંગે વિગતો આપતા ચૂંટણીપંચે જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં મતદાન માટે કુલ 59782 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવામાં આવશે. 50 ટકા મતદાન મથકો પર મતદારો માટે વેબ કાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

ગુજરાતમાં 182 બેઠકો પૈકી 142 બેઠકો જનરલ કેટેગરીની છે અને 17 બેઠકો અનામત કક્ષાની છે. રાજ્યમાં 142 મોડેલ મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવશે. 1274 જેટલા મતદાન મથકો પર માત્ર મહિલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. 182 મત મથકોનું દિવ્યાંગ કર્મચારીઓ સંચાલન કરશે. 33 મતદાન મથકો પર નાની વયના યુવાન કર્મચારીઓને જ સંચાલન સોંપવામાં આવશે. માત્ર એક મત વાળું મતદાન મથક હોય તો ત્યાં પણ 15 કર્મચારીઓની ટીમ જશે. કોઈપણ વ્યક્તિને બે કિમીના અંતરમાં જ મતદાન મથક મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે રાજુલાના મધદરિયે આવેલા શિયાળ બેટમાં પણ મતદાન મથક ઉભું કરાશે અને બોટ મારફત કર્મચારીઓને મોકલવામાં આવશે. મતદાન મથકો પર પાણી અને વેઈટીંગ એરિયા, દિવ્યાંગ મતદારો માટે અલગ પાર્કિંગ જેવી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.


મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, દરેક મત મથકો પર સ્પેશીયલ ઓબ્ઝર્વર રહેશે અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ સતત મોનીટરીંગ કરતા રહેશે. રાજ્યમાં આ વર્ષે 3.24 લાખ નવા મતદારો નોંધાયા છે. 3.23 લાખ જેવા મતદારો અન્ય રાજ્યોના પણ નોંધાયા છે. 4.6 લાખ મતદારો પ્રથમ વખત એમના મતાધિકારનો ઉપયોગ કરનાર છે. 4.4 લાખ જેટલા દિવ્યાંગ મતદારો માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ વખતે વાગરા ખાતે પહેલીવખત શીપ ક્ધટેનરમાં એક પોલીંગ બુથ બનાવવામાં આવશે. સિનિયર સીટીઝન માટે ડોર સ્ટેપ મતદાનની વ્યવસ્થા જાહેર કરતા ચૂંટણીપંચે માહિતી આપી હતી કે, રાજ્યમાં 9.89 લાખ સિનિયર સીટીઝન મતદારો નોંધાયેલા છે. એમને ઘરેથી મત આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. બુઝુર્ગ મતદારો એક ફોર્મ ભરીને આપે એટલે ચૂંટણીપંચનો સ્ટાફ ઘરે જઈને એમના મત આપવાની વ્યવસ્થા કરશે.

Read About Weather here

આ વખતે ગુજરાતમાં 1417 જેટલા ટ્રાન્સઝેન્ડરસ મતદારો પણ નોંધાયા છે. તેવું ચૂંટણીપંચે દર્શાવ્યું હતું. ઉમેદવારો અંગે ચૂંટણીપંચે એવી મહત્વની ઘોષણા કરી હતી કે, મતદારો કોઈપણ ઉમેદવારની કેવાયસી માહિતી મેળવી શકશે. એમના શિક્ષણ, એમની આર્થિક પરિસ્થિતિ, ગુનાખોરીનું બેકગ્રાઉન્ડ વગેરે તમામ વિગતો કોઈપણ મતદાર મેળવી શકશે. જો કોઈ ઉમેદવારની ગુનાહિત પ્રવૃતિઓનો ઈતિહાસ હોય તો દરેક પક્ષોએ એ અંગે ખુલાસો કરવાનો રહેશે. આવા ઉમેદવારને બદલે અન્ય કોઈ ઉમેદવારને કેમ ઉભા ન રાખ્યા તે અંગે જે તે પક્ષોએ સ્પષ્ટતા કરવી પડશે અને અન્યને કેમ ન આપી તેનું કારણ મતદારોને બતાવવું પડશે. ચૂંટણીપંચની આ જાહેરાતને ખુબ જ સૂચક અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજથી જ રાજ્યમાં આચારસંહિતા પણ લાગુ થઇ જશે. એવું ચૂંટણીપંચે જાહેર કર્યું છે. 5 નવેમ્બરે પ્રથમ તબક્કા માટે અને 10 નવેમ્બરે બીજા તબક્કાના મતદાર માટે જાહેરનામું બહાર કાઢવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here