ગુજરાતમાં કોરોનાનાં એક દિવસમાં પાંચ હજારથી વધુ કેસ: એકનું મોત
ઉજવણીનો નાદ અને ભીડ ભેગી કરવાનો બેજવાબદાર ઉત્સાહ કોરોના વિસ્ફોટ માટે કારણભૂત; અગાઉ જેમ લડાઈ જીતી ગયા હતા એ રીતે નવો જંગ જીતવા સહુ કમર કસે
ગુજરાતમાં વધુ એકવખત કોરોનાનો વિસ્ફોટ થયો છે અને એકમેક પર દોષરોપણ કરવાની પ્રવૃત્તિઓનો પણ વિસ્ફોટ થઇરહ્યો છે. ત્યારે કાદવ ઉછાળવાની રમત બંધ કરીને માથે આવી પડેલી લડાઈ જીતવા માટે કમર કસવાનો સમય આવી ગયો છે. અત્યારે સમય વાંક કાઢવાનો નથી પણ કોરોનાને કાઢવાનો છે. કોરોનાને આપણે સાથે મળીને દેશવટો આપવાનો છે. જો તેમાં ફરીથી કોઈકચાસ રાખશું તો કોરોનાની બીજી લહેર જેવા પરિણામો ભોગવવા પડશે. એ સમાજનાં દરેક વર્ગ અને સમૂહ તથા રાજકીય પક્ષોએ પણ સમજવું પડશે. આંકડાકીય વાત કરીએ તો રાજ્યમાં કોરોનાનાં એક દિવસમાં 5396 કેસો નોંધાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
એક દર્દીનું મોત થયાનું પણ નોંધાયું છે. આ રીતે એક્ટીવ કોરોના કેસોમાં એક જ દિવસમાં લગભગ 30 ટકાનો વધારો થયો એ દર્શાવે છે કે, રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. કોરોનાની સાથે-સાથે ઓમીક્રોનનો પ્રસાર પણ થઇ રહ્યો છે. એટલે રાજ્યની જનતા તથા વહીવટીતંત્ર સામે બેવડા પડકારો ઉભા થઇ રહ્યા છે. બે દુશ્મન સામે એક થઈને લડવાનું છે. એટલે પ્રજાતંત્ર અને સતાતંત્ર એક બનીને એક જ મુદ્દાનાં કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે છે. કોઈપણ ભોગે કોરોના સામેનો નવો સંઘર્ષ જીતીને તેમાંથી બહાર આવવાનું છે.
કોરોનાની બીજા વેવની લડાઈમાં આપણે સાંગોપાંગ પાર ઉતરી શક્યા ત્યારે એવું લાગતું હતું કે, હવે આપણે ફરીથી આ મુસીબતનો સામનો કરવો નહીં પડે. જો કે કમનશીબે વિશ્ર્વમાં એકાએક કોરોના અને દક્ષિણ આફ્રિકામાં કોરોનાનાં નવા વાયરસ ઓમીક્રોન વેરીએન્ટનાં હાહાકારથી આપણા દેશમાં પણ મહામારીએ પુનરાગમન કર્યું. એ માટે આપણી થોડીક બેદરકારી પણ કારણભૂત ગણી શકાય.
કોરોનાની બીજી લહેર પૂરી થઇ ન થઇ ત્યાંતો મોટાપાયે રાજકીય મેળાવડાઓ અને સામાજીક કાર્યક્રમો જોરશોરથી શરૂ થઇ ગયા હતા. રાજકીય પક્ષોનાં કાર્યક્રમો ચારેતરફ થવા લાગ્યા હતા. સભા સરઘસો યોજાઈ રહ્યા હતા. મીડિયા એ ધ્યાન દોરવા છતાં આવા કાર્યક્રમોમાં કોરોના નિયમોનાં ધજાગરા ચાલુ રહ્યા હતા. જેના કારણે કોરોના સામે સફળતા અપાવનાર તમામ આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર અને લોકોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને વિશ્વની સાથે-સાથે આપણે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાનો વખત આવ્યો છે. આવા વિપરીત સંજોગો ઉભા થાય ત્યારે દેશના નાગરિક અને સમાજના જવાબદાર સભ્ય તરીકે આપણે એકમેક પર દોષારોપણ કરવાને બદલે લડાઈ જીતવાનાં મહા ભગીરથ કાર્યમાં થઇ શકે તેટલું યોગદાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ એ જરૂરી છે.
કોરોના મહામારી સમય પૂછીને કે ચામડીનો કલર જોઇને આવતી નથી. કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે કોરોનાની જાળમાં ફસાઈ શકે છે. જો તેનાથી પોતાને, પોતાના પરિવારને, પોતાના લત્તાને, ગામ અને શહેરને શક્ય તેટલા સુરક્ષિત રાખવા હોય તો આપણે કોરોના નિયમોનું જાતે પાલન કરવાનું શરૂ કરી સામાજીક ઉતરદાયિત્વનું પાલન કરવું જ રહ્યું. નહિતર આપણી પરિસ્થિતિ અમેરિકા અને બ્રિટન જેવી થઇ જવામાં વાર નહીં લાગે.
કોરોના પ્રોટોકોલનાં નિયમો એટલે માથા પર પહાડ રાખીને ફરવા જેવા બોજારૂપ નથી. માત્ર પાંચ ગ્રામ વજનનું માસ્ક પહેરવાનું છે. દરેક વ્યક્તિએ ભીડ ટાળવાની છે. દુકાનો અને શોપિંગ મોલમાં ખરીદી વખતે એકમેકથી 6 ફૂટનું અંતર જાળવી રાખવાનું છે. નિયમિત હાથ સેનીટાઈઝ કરવાના છે. જો એટલા સાદા અને સરળ નિયમો પણ આપણને બોજારૂપ લગતા હોય તો આઈસીયુ માં જવાની તૈયારી રાખવી જોઈએ. એટલે કોઈ બીજાને દોષ દેતા રહેવાથી પરિસ્થિતિ સુધરતી નથી. એ સૂત્ર દિમાગની દિવાલ પર ખોતરી રાખવું જોઈએ. આપણને બધાને એ ખબર છે કે, કોરોના સંક્રમણને વેગ આપવા પાછળ કોણ ક્યાં કારણોસર જવાબદાર છે?
આવી સભાઓ મળી હોય, સરઘસો નિકળ્યા હોય કે રેલીઓ નીકળી હોય તેમાં આપણા માંહેના ઘણાઅ હાજરી આપી જ હોય એટલે આપણા કૃત્યને પણ યાદ રાખીને આત્મ નિરીક્ષણ કરી બોધપાઠ લેવો જોઈએ અને સામે આવી પડેલા પડકારનો વિચાર કરવો જોઈએ. કોરોનાને કાઢવા માટે દરેક વ્યક્તિએ સંકલ્પ બધ્ધ થવું જોઈએ. જેનો વાંક હોય તેની અત્યારે ચર્ચા કરવાનું અસ્થાને છે.
Read About Weather here
અત્યારે બધા માટે કોરોના સામેનો જંગ સાથે મળીને લડવાની જવાબદારી આવી પડી છે અનેઆશા રાખીએ છીએ કે, અસલ કાઠીયાવાડી મિજાજ સાથે આપણે ફરી વખત કોરોના એ ઉભા કરેલા નવા પડકારને પણ પરાસ્ત કરી દેશું. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અહીં જરૂર ભયભીત નહીં ભડવીર થવાની છે. આપણે સામુહિક એકતા અને ફરજ પાલન સાથે કોરોના અને ઓમિક્રોન નામના બંને રાક્ષસને ભોય ભેગા કરી દેશું. એવા આત્મ વિશ્વાસ સાથે આગળ વધીએ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here