રાજકોટમાં ૮૧ જગ્યાએ મચ્છરના બ્રીડીંગ મળતા નોટિસ ફટકારાઇ

હોસ્પિટલ,બાંધકામ સાઇટ,ભંગારના ડેલા સહિતના સ્થળોએ ચેકિંગ કરાયું

ડેન્ગ્યુ ફેલાવતા એડિસ ઇજીપ્તી મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમિયાન બહોળા પ્રમાણમાં જનસમુદાય એકત્રિત હોય તેવા સ્થળોએ ડેન્ગ્યુ રોગ ફેલાવવાની સંભાવના વધુ રહે છે. મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ અભિયાનમાં ગત અઠવાડિયા દરમિયાન સ્ટર્લિંગ હોસ્પિટ સહિત ૯૬ હોસ્પિટલ, ૧૮૯ ભંગારના ડેલા અને ૧૨૫ બાંધકામ સાઇટ સહિતની અલગ અલગ ૪૨૨ જગ્યામાં મચ્છર ઉત્૫તિ અંગે ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી હેઠળ ૮૧ જગ્યામાં મચ્છરના બ્રીડીંગ મળી આવતા તમામને નોટિસ આ૫વામાં આવી છે.

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગો મચ્છર દ્વારા ફેલાય છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહૃાા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગો ફેલાવતા મચ્છર માનવસર્જિત બંધિયાર અને ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજીપ્તી તદ્દન ઓછા પ્રમાણમાં પાણીનો જથ્થો ધરાવતા કોઇ પણ પ્રકારના પાણી ભરેલા પાત્રોમાં ઉત્પન્ન થાય છે. એડીસ ઇજીપ્તી મચ્છરના ઇંડા પાણી વિના એક વર્ષ કરતા વધારે સમય જીવે છે.