પાંચ વર્ષથી શ્રમજીવી સોસાયટીના ગોડાઉનમાં ગોલમાલ ચાલતી હોવાની જાણ થતાં એસ.ઓ.જીની ટીમે ત્રાટકી રૂ. 21.25લાખની દવાનો જથ્થો કબ્જે કર્યો ; ધો. 12પાસ પરેશ ચોવટિયા એફિડેવિટ કરાવી ડોકટર બની બેઠો ; આરોગ્ય વિભાગ – ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ તપાસનો ધમધમાટ
કોરોનાની ત્રીજી લહેર શરૂ થાય તે પૂર્વ જ રાજકોટ એસ.ઓ.જીની ટીમે નકલી ડોકટરો – દવાઓના કૌભાંડો ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. એસ.ઓ.જીની ટીમની તપાસમાં 12 ચોપડી ભણેલો પરેશ પટેલ પોતાના નામ આગળ ડોકટર ઉમેરી મોટે ભાગે કિડની અને ડાયાબિટીશના દર્દીઓ માટે આયુર્વેદિક દવાના નામે એકસપાયરી ડેટવાળી દવાઓ (શીરપ અને ટેબલેટ) વેંચી રોકડી કરતો હોવાનું ખુલ્યું છે.
પાંચ વર્ષથી તે આવું કારસ્તાન ચલાવતો હોવાનો પર્દાફાશ શહેર એસઓજીની ટીમે કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને રાજકોટ મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. હાલ પોલીસે 21,25,100નો શંકાસ્પદ શીરપ-ટેબલેટનો જથ્થો કબ્જે કર્યો છે.
વિગત એવી છે કે ઢેબર રોડ પર ગુરૂકુળ નજીક શ્રમજીવી સોસાયટી-2/5ના ખુણે ઓશો મેડિકેર નામે ગોડાઉન ધરાવતો અને પોતાને ડોકટર તરીકે ઓળખાવતો શખ્સ પરેશ પટેલ (ચોવટીયા) હકિકતે ડોકટરની ડિગ્રી ધરાવતો નથી અને તેના ગોડાઉનમાં પાયરેટેડ એટલે કે જેની તારીખ જતી રહી હોય તેવી આયુર્વેદિક દવાઓને નવા સ્ટીકર લગાવી ખાસ કરીને કિડની અને ડાયાબિટીશના દર્દીઓને ધાબડી આરોગ્ય સાથે ચેડા કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
તેવી બાતમી એસસીએસટી સેલના એસીપી એસ. બી. પટેલને મળતાં એસઓજી પીઆઇ આર.વાય. રાવલ અને પીએસઆઇ એમ. એસ. અંસારીની ટીમે ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો અને પરેશ પટેલને તેના રામનગરના ઘરેથી દબોચી લાવી તેની હાજરીમાં ગોડાઉનમાં તપાસ શરૂ કરી હતી.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસી. કમિશનર એસ. એસ. વ્યાસ અને મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી પંચાલ પણ પોતાની ટીમો સાથે પહોંચ્યા હતાં. પોલીસે તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે પરેશ પટેલ એકસપાયર થયેલા આયુર્વેદિક શીરપને ગોડાઉનમાં રાખેલા એક મોટા બેરલમાં ઠાલવી દેતો અને તેમાં ચવનનપ્રાશ ભેળવી આ શીરપને નવી બોટલોમાં ભરી લેતો હતો.
જેથી એકસપાયરી ડેટની દવા હોવાની કોઇને ખબર પડતી નહિ. આવા શીરપને કોરોનાકાળમાં ઇમ્યુનિટી બુસ્ટર (રોગપ્રતિકાર શકિત વધારતા પ્રવાહી) તરીકે ધાબડી દીધાનું ખુલ્યું હતુ. આ ઉપરાંત તેની પાસેથી આયુર્વેદિક ટેબલેટ (ટીકડીઓ)નો જથ્થો પણ મળ્યો છે. આ ટેબલેટ કે જે એકસપાયર થઇ ગઇ હોઇ તેની ડબલીઓ પર નવી તારીખના સ્ટીકર લગાવી ફરી વેચાણમાં મુકી દેતો હતો.
આવા સ્ટીકર તે ગોંડલ રોડ પર મયુર ભજીયા નજીક આવેલા એક પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવતો હતો. તેની પાસે ડોકટરની કોઇ જ ડિગ્રી નથી છતાં તે ડોકટર બની બેઠો હતો. તેણે પોતાના નામ આગળ ડોકટર લખાવી તેનું એફિડેવિટ કરાવી લીધું હતું અને આ રીતે પોતે ડો. પરેશ પટેલના નામે ઓળખ આપતો હતો. તે અમદાવાદની એક કંપનીની દવાઓના બેચ નંબરનો ઉપયોગ પોતે એકસપાયરી ડેટમાંથી બનાવેલી દવાઓ શીરપ માટે કરતો હતો.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ કોડ સ્કેન કરી તપાસ કરતાં આ કોડ અમદાવાદની કંપનીના નામે હોવાનું ખુલ્યું હતું. પરેશ પટેલે કહ્યું હતું કે, પોતે અગાઉ આ કંપનીમાંથી માલ લેતો હોઇ જેથી તેના બેચ નંબરનો ઉપયોગ કરતો હતો.
પ્રાથમિક પુછતાછમાં પરેશ પટેલે કબુલ્યું છે કે પોતે પાંચેક વર્ષથી આવા ધંધા કરે છે. તે પોતાની દવાથી કિડની ડાયાબિટીશના દર્દીઓને સારુ થઇ જાય છે. તેવા દાવા પણ અમુક દર્દીઓ કે બીજા પાસે કરાવતો હતો અને તેની જાહેરાતો કરાવતો હતો. તેની એક દૂકાન અમીધારા કોમ્પલેક્ષમાં છે.
જો કે તે બંધ હાલતમાં છે. અગાઉ તેણે શ્રમજીવીમાં દવાખાનુ ચાલુ કર્યું હતું. પણ હાલમાં ઢેબર રોડ પર નવા બસ ડેપોમાં ત્રીજા માળે ત્રણ દૂકાનો ચાલુ કરી હતી. જ્યાંથી તે આવી દવા-શીરપના અને ઇમ્યુનિટી બુસ્ટરના વેંચાણ કરતો હતો.
Read About Weather here
હાલ પોલીસે શ્રમજીવી સોસાયટીના ગોડાઉનમાંથી શંકાસ્પદ આયુર્વેદિક દવાનો જથ્થો પેકીંગ તથા લુઝ હાલતમાં મળતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને સાથે રાખી તેમના માર્ગદર્શન હેઠળ રૂ. 21,25,100નો જથ્થો કબ્જે કર્યો છે. જેમાં આયુર્વેદિક શીરપ અને આયુર્વેદિક દવા-ટીકડીઓ છે. આ જથ્થો સીઆરપીસી 102 મુજબ કબ્જે કરાયો છે.
એસઓજી પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઇ આહિર, મોહિતસિંહ જાડેજા, પેરોલ ફરલો સ્કવોડના યુવરાજસિંહ, સિરાજભાઇ, યોગેન્દ્રસિંહ અને સોનાબેન મુળીયા સહિતે આ કામગીરી મોડી રાત સુધી કરી હતી. આજે પરેશ પટેલની નવા બસ સ્ટેશનમાં આવેલી ત્રણ દૂકાનોમાં તપાસ કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here